મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આમ તો રાજકારણમાં નેતાઓ પર ગોળીઓ ચલાવવાનું રાજકારણ ગુજરાતમાં બહુ પહેલા જ ખત્મ થઈ ગયું, હવે હિસાબ રાજકીય રીતે જ થાય છે. સુરતમાં એવી ઘટના ઘટી છે જેમાં યુપી-બિહારમાં બનતી હોય તેવી યાદ અપાવી દે છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસિયા પર અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગની ઘટનાએ રાજકીય માહોલને ડહોળી નાખ્યો છે. જોકે આ ઘટનામાં પોલીસને અન્ય દીશાઓમાં પણ શંકા છે. પોલીસ ઘટનાના સીસીટીવી સહિતની બાબતો પર તપાસ કરી રહી છે.

ઘટના એવી બની કે, સુરતમાં વરાછા ખાતે ભાજપના 48 વર્ષિય કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસિયા પોતાની ડાહ્યા પાર્ક ખાતેની ઓફીસથી કામ પુરુ કરીને ઘરે જઈ રહ્યા હતા. સોમવારની રાત્રીના 8.40 વાગ્યાનો સમય હશે. તેઓ વાહન પર વરાછાની વર્ષા સોસાયટી વિભાગ 1 પાસેથી વાડીવાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાનમાં બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. એક બાઈક ચલાવી રહ્યો હતો અને પાછળ બેસેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું. જેવું ફાયરિંગ કર્યું અને ભરતભાઈને ગોળી વાગી ગઈ છે તેવી ખાતરી થઈ કે આગળ બાઈક ચલાવનાર શખ્સે ત્યાંથી તુરંત ત્યાંથી બાઈક ભગાવી મુક્યું હતું. 

પોલીસને મળેલી વિગત પ્રમાણે ફાયરિંગ કરનાર પાછળ બેઠો હતો અને તેણે કોફી રંગનું શર્ટ પહેર્યું હતું. ભરતભાઈને પીઠના ભાગે ગોળી વાગી હતી. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં શસ્ત્રક્રિયા દ્વારા તેમની પીઠની ગોળી બહાર કાઢી લેવામાં આવી હતી. હાલ તેમની તબીયત સુધારા પર હોવાની વિગતો મળી રહી છે. જોકે હજુ પોલીસને આ ઘટના પાછળનું કારણ રાજકીય છે કે કોઈ બીજું તે અંગે જાણકારી મળી નથી. પોલીસ સીસીટીવી ફૂટેજ સહિતની વિગતોની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં એક કેસમાં ભરત વઘાસિયાની ધરપકડ પણ કરવામાં આવી હતી.