પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત હાઈકોર્ટે ભાજપના પુર્વ મંત્રી માયા કોડનાનીને નિદોર્ષ છોડી મુકયા છે, જો કે લાંબો સમય જેલમાં રહેલા માયા કોડનાનીએ આજે ભલે રાહતનો શ્વાસ લીધો હોય પરંતુ તેમની ધરપકડ થઈ અને અમદાવાદ કોર્ટે સજા કરી તે દરમિયાને તેઓ શારિરીક અને માનસીક રીતે તુટી ગયા હતા, પરંતુ ખરેખર તા 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા તોફાન વખતે તેઓ અમદાવાદની સોલા સિવિલ અને ત્યાર બાદ તેઓ ગુજરાત વિધાનસભામાં હોવા અંગે તેમણે પુરાવા આપ્યા હોવા છતાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમે તેમને આરોપી બનાવ્યા અને તેમને 28 વર્ષની સજા થઈ તેની પાછળ એક જુદુ જ રાજકારણ રમાઈ ગયું હતું.
માયાબહેન કોડનાની ગુજરાત ભાજપમાં લાલકૃષ્ણ અડવાણીને કારણે આવ્યા હતા, અડવાણીના પરિવાર સાથે તેમને ઘરોબો હતો. જો કે જ્યારથી લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે અંતર વધવા લાગ્યું ત્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અડવાણી સાથે સંબંધ ધરાવતા તમામ નેતાઓને સાઈડ લાઈન કરી નાખ્યા હતા. 2007 વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદી અડવાણીની નજીકના માયાબહેનને ટિકિટ આપવા માગતા ન્હોતા અને જ્યારે ઉમેદવારની યાદી જાહેર થઈ તેમાં માયા કોડનાનીનું નામ કાપી નાખવામાં આવ્યું હતું. પરંતુ પોતાની ટિકિટ કપાઈ જતા માયાબહેન તરત દિલ્હી ઉપડયા અને અડવાણીને સામે તેમણે ટિકિટની માગણી કરી હતી. માયાબહેનને ટિકિટ મળવી જોઈએ તેવી લાગણી અડવાણીએ નરેન્દ્ર મોદીને ફોન કરી વ્યકત કરતા માયાબહેનને ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તેમને ટિકિટ તો મળી પણ સાથે નરેન્દ્ર મોદીની નારાજગી પણ મળી હતી પરંતુ તેની સાથે મંત્રી પદ પણ અપાયુ હતું. નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખનારા જાણે છે કે મોદીના મનમાં ચાલતી વાત તેમના પડછાયાને પણ ખબર પડતી નથી.
2002ના તોફાનોની તપાસ કરી રહેલા એસઆઈટી સામે ભાજપના અનેક નેતાઓ અંગે ફરિયાદ મળી હતી કે તેમણે કયા વિસ્તારમાં તોફાન કરાવ્યા હતા. મુસ્લિમોના આરોપનામાની યાદીમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થતો હતો, જો કે એસઆઈટી ભાજપના ટોચના નેતાઓના નિવેદન નોંધતી હતી પણ તેમને એક તરફ કરી લેતી હતી. માયાબહેન પણ માનતા હતા કે તેમની સામેના આરોપ પણ એસઆઈટી પડતા મુકશે. જો કે તેવું થયું નહીં. નરેન્દ્ર મોદી અને ગોરધન ઝડફિયા જેવા નેતાઓને એસઆઈટી દ્વારા કીલનચીટ આપવામાં આવી જ્યારે માયાબહેનને દોષીત ગણી તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા.
જેના કારણે માયાબહેન જેલમાં પણ ગયા જ્યારે તેમની શારિરીક અને માનસીક તબીયત લથડી અને તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. આમ નરેન્દ્ર મોદીને નારાજ કરવાની કિંમત માયાબહેનને દસ વર્ષ ચુકવી હતી.