મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે. કોરોના કેસમાં છેલ્લા ઍક માસમાં ઝડપથી વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની સાથે પુરતો ઓકિસજનનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થા માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ હાલમાં ઓકિસજનનો જે પુરવઠો મળી રહે છે જે ઓકિસજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધતા ઓકિસજનની જરૂરિયાત પણ વધી છે અને તેમાં રોજ વધારો થઈ રહ્યો છે. 

જ્યારે બીજી તરફ માંગ કરતા પુરવઠો ઓછો મળવાની ભીતિને લઈને શહેર જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સોમવાર સવારેથી કોરોના ગંભીર નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેવામાં આવતા અફરાતફરી મચી જવા પામી છે. આ ઉપરાંત જે રીતે ઓક્સિજની જરૂરિયાત વધી રહી છે તે મુજબ જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો કટોકટી સર્જાશે તેવી શકયતા વ્યકત કરાઈ રહી છે. 

જિલ્લા કલેકટરે પણ ઓકિસજનની માંગની સામે પુરવઠો ઓછો હોવાની વાતને પૃષ્ટી આપી છે. જેથી પરિસ્થિતિ ગંભીર થવાની સાથે કટોકટી સર્જાય તેવી શકયતા નકારી શકાય તેમ નથી. આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની મહત્વની ઍક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે રાજ્ય સરકારમાં પણ માંગ મુજબનો જથ્થો મળી રહે તે માટેની રજૂઆત કરવામાં આવી હોવાની સુત્રો દ્વારા જાણવા મળે છે. ઓકિસજની સંભવીત કટોકટીની શકયતાને પગલે ઓકિસજનનો બગાડ અને લીકેજ રોકવા માટેની ગાઈડલાઈન નક્કી કરાયા બાદ ઓકિસજની ઘટ પુરવા માટે બચત કરીને પણ દાખલ દર્દીઓને સારવાર આપવા માટે હોસ્પિટલોને આદેશ પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

વધુમાં સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હોબાળો મચી ગયો હતો. ગંભીર પ્રકારના દર્દી આવતા હતા તેને હાલમાં સારવાર માટે દાખલ નહીં થાય તેવું કહી દેવાયું હતું. ખાનગી હોસ્પિટલોમાં હાલ ગંભીર દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી, જેને કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ધસારો થઇ રહ્યો છે, પરંતુ આજે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેતા દર્દીના સગાની હાલત કફોડી થઇ રહી છે. ગંભીર દર્દીઓના સગાઓ દર્દીને લઇને ચિંતામાં જોવા મળી રહ્યા છે.

પ્રતિદિન ૨૨૦ મેટ્રીક ટનની આવશ્યકતા સામે ૧૯૦ મેટ્રીક ટનનો પુરવઠો સપ્લાય થઈ રહ્યો છે.

સુરત શહેરમાં કોરોના વાયરસની મહામારી સામે હવે ઝઝુમી રહેલા દર્દીઓનો શ્વાસ રૂંધાવાની તૈયારીમાં છે ઓક્સિજનના પુરવઠા મુદ્દે વહીવટી તંત્રે હવે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓ ઓક્સિજનના અભાવે માત્ર ભગવાન ભરોસે જ છે. સુરત શહેરમાં આજે સવારેથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના ગંભીર દર્દીઓ માટે હોસ્પિટલના દરવાજા બંધ કરી દીધા છે. સુરત શહેરમાં પ્રતિદિન ૨૨૦ મેટ્રિક ટનની આવશ્યકતા છે, જેની સામે માત્ર ૧૯૦ મેટ્રીક ટનનો પુરવઠો જ સપ્લાય થઈ રહ્યો જેથી આગામી દિવસો સ્થિતિ વધુ વિસ્ફોટક સાબિત થાય તેમાં કોઈ બેમત નથી.

ખાનગી હોસ્પિટલમાં ૧૨ કલાક ચાલે તેટલો જ ઓક્સિજન

ક્લેક્ટરે કહ્યું કે, મહારાષ્ટ્રની લિન્ડે કંપનીઍ ઓક્સિજનનો પૂરવઠો ઘટાડી દીધો છે. હાલ રિલાયન્સનો ઓક્સિજન મળી રહ્યો છે. સ્થિતિ ખૂબ કટોકટ છે તંત્ર દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.બીજી તરફ ખાનગી હોસ્પિટલની કફોડી સ્થિતિને લઇને જિલ્લા ક્લેક્ટરને ઇન્ડિયન મેડિકલ ઍસોસિઍશન દ્વારા ૧૨ કલાક જ ઓક્સિજન ચાલે તેમ હોવાની રજૂઆત કરી હતી.

સુરત શહેરમાં ઓકિસજનની અછત થઇ છે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ જાખમમાં મુકાયા છે. ઇન્ડિયન મેડીકલ કાઉન્સીલ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી કે, ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન ન હોવાથી ૪૦૦૦ જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર બની છે. યુદ્ધના ધોરણે ઓક્સિજનની વ્યવસ્થા ન કરવામાં આવે તો સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જોખમમાં મૂકાઇ શકે છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના સુરતના પ્રમુખે શહેરની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, સુરત શહેરમાં આગામી બારથી ચોવીસ કલાકમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઇ શકે તેવી શક્યતા છે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ઓકિસજન પૂરતા પ્રમાણમાં નથી. મિશન હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલની સ્થિતિ બગડી છે.

સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે  શહેરમાં ઓકિસજનની અછત વર્તાઇ રહી છે. મહારાષ્ટ્રથી જે કંપની દ્વારા ઓક્સિજન મળતું હતું, તેમાં ઘટાડો થયો છે. જેને કારણે આપણે સુરત શહેરમાં જે પ્રકારની માંગ છે. તેની સામે પુરવઠો ખૂબ ઓછો છે. આજે સાંજ સુધી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે તે માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ પરંતુ કાલથી સિચ્યુએશન કેવી રીતે ઉભી થશે તે અંગે કહેવું ખૂબ મુશ્કેલ છે. રિલાયન્સ કંપની દ્વારા ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કરાયું છે.