મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ રાજ્યમાં સબ સલામના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં ફરી એકવાર અનુ.જાતિના વકીલને કેટલાક શખ્સો દ્વારા નિશાન બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા વકીલની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

મળતી માહિતી મુજબ, જુનાગઢના મધુરમ વિસ્તારમાં મંગલધામ સોસાયટીમાં રહેતા વકીલ નિલેશ દાફડાની હત્યા કરવામાં આવી છે. રવિવાર મોડી રાત્રે વકીલના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પત્ની અને બે સંતાનની આંખોની સામે જ ક્રૂર હત્યા થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.  

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કચ્છના રાપરમાં ધોળા દિવસે અનુ.જાતિના વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. દેવજીભાઈ સાંજના સમયે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે એક યુવાનને છરીના ઘા મારીને વકીલને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.  

સમગ્ર મામલે જુનાગઢ  ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો  ઘટના સ્થળ પર પોંહચી ગયો હતો. પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીને પકડવા માટેની કામગીરી શરૂકરી છે.