પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દિવાલ- ભાગ-18) દસ વાગી ગયા હતા. પોલીસે પોતાનું મોટા ભાગનું કામ, સ્થળ, પંચનામુ કેતનની બેરેકમાં રહેલા કેદીઓના નિવેદન લઈ લીધા હતા. કેતનની હત્યા જીગા અને મોન્ટુએ જ કરી હોવાનું સ્પષ્ટ થઈ ગયુ હતું. તેમને પણ પોલીસે પકડી સિંગલ બેરેકમાં મુકી દીધા હતા. આમ મંગો, જીગો અને મોન્ટુ હવે એકલા પોતાની ખોલીમાં હતા. જીગા અને મોન્ટુએ પણ પોતાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસનું કામ પુરૂ થતાં બંદી ખોલી તમામ કેદીઓની બેરેક ખોલી દેવામાં આવી હતી. આખી જેલમાં કેતનના મર્ડરની જ ચર્ચા હતી. મહંમદ બેરેકની બહાર આવ્યો તેણે વોર્ડનને પુછ્યુ શું થયુ? ત્યારે વોર્ડને પહેલાથી છેલ્લા સુધી ખરેખર શુ બન્યુ તેની વિગત કહી હતી. મહંમદ વિચારમાં પડી ગયો હતો જો જેલમાં ધારદાર ચાકુ આવી શકે તો બીજુ ઘણુ બધુ આવી શકે. મહંમદ શુ વિચારી રહ્યો હતો તેની કોઈને કલ્પના ન્હોતી. જેલમાં જે પ્રકારનો માહોલ હતો તેના કારણે જેલમાં ચાલતા ઉદ્યોગ અને ભણવાના ક્લાસ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે તેઓ ભણવા જવાના ન્હોતા એટલે મહંમદ અને તેમના સાથીઓને વોર્ડની બહાર નિકળવા મળવાનું ન્હોતુ, જેનો રંજ લગભગ મહંમદ અને તેના સાથીઓના ચહેરા ઉપર જોઈ શકાતો હતો. સવારની ચ્હા પણ દસ વાગે અને સવારની સાત વાગ્યે તૈયાર થયેલી ચ્હા દસ વાગ્યે આવી ત્યારે ગૌમુત્ર જેવો સ્વાદ થઈ ગયો હતો, તો પણ યુસુફ પુરા ટેસથી ચ્હા પી ગયો હતો. ચ્હા મોડી આવવાને કારણે તેનું માથુ ભમવા લાગ્યુ હતું. થોડીવારમાં ચ્હાની પાછળ જમવાનું પણ આવી ગયુ. જો કે આજે બધા કેદીઓના દિવસની શરૂઆત સારી રીતે થઈ ન્હોતી જેના કારણે જમવામાં પણ કોઈને ખાસ રસ ન્હોતો. અગીયાર વાગ્યા ત્યા તો અચાનક જેલમાં જેલ પોલીસની ચહલપહલ વધી ગઈ. કેદીઓને પોલીસની વધારે સંખ્યા જોતા ફરી કંઈક થયુ કે શુ તેવી શંકા ગઈ પણ તરત વોર્ડને શંકાનું સમાધાન કરતા કહ્યુ આઈજીપી સાહેબનો ઝડતી સ્કવોર્ડ આવ્યો છે. ઝડતી સ્કવોર્ડ એક એક બેરેકમાં જઈ કેદીઓના સામાન અને બેરેકના ખુણા ખાચરા તપાસી રહ્યો હતો. કારણ જેલમાં મંગા પાસે હથિયાર આવી ગયા તો બીજા કેદીઓ પાસે પણ હથિયાર હોઈ શકે છે તેવી શંકાને આધારે આખી જેલમાં એક એક બેરેકમાં ઝડતી શરૂ કરી દેવામાં આવી હતી.


 

 

 

 

 

મહંમદના વોર્ડની સંભાળ રાખતો કેદી વોર્ડન પહેલા કેતનની બેરેકમાં રહેતો હતો. બપોરની બંદી પછી તે કેતનની વાત કહેવા લાગ્યો ત્યારે મહંમદ અને તેના સાથીઓ સહિત બીજા કેદીઓ પણ વોર્ડનની વાત સાંભળવા બેસી ગયા હતા. કેતનને ખુન કેસમાં જન્મટીપની સજા પડી પછી વૈદેહીએ પોતાની કોલેજ પુરી કરી અને તરત નોકરીએ લાગી ગઈ હતી. બીજી તરફ વૈદેહીનો પરિવાર તેને લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો. પહેલા તો ઘણો સમય વૈદેહીએ કેતન સાથેના પ્રેમની વાત છુપાવી રાખી હતી પણ લગ્નું દબાણ થતાં વૈદેહીએ ધડાકો કર્યો હતો કે લગ્ન કરીશ તો કેતન સાથે જ બાકી કુંવારી રહીશ. વૈદેહીના પરિવાર માથે આભ તુટી પડ્યુ હતું. પોતાની દીકરી એક ખુની સાથે લગ્ન કરવા માગતી હતી જેને જન્મટીપની સજા થઈ છે. પરિવારે તેને ખુબ સમજાવી પણ તે એકની બે થઈ નહીં. એક દિવસ મુલાકાતમાં આવેલી વૈદેહીએ કેતનને પુછ્યુ બોલ મારી સાથે લગ્ન કરીશ. આ સાંભળી કેતન પણ સ્તબ્ધ થઈ ગયો હતો. કેતન પણ જાણતો હતો કે હવે તે જેલમાંથી ક્યારે છુટશે તેની તેને ખબર ન્હોતી અને જન્મટીપની સજા થયેલા ગુનેગાર સાથે કોઈ લગ્ન કરે? કેતને પણ તેને સમજાવી કહ્યુ કે તારા ઘરવાળા બતાડે તેવા સારા છોકરા સાથે સંસાર શરૂ કરી દે, ત્યારે વૈદેહી ખુબ રડી હતી. તેણે કેતનને ધમકી આપી હતી કે તુ લગ્ન કરીશ નહીં તો હું આત્મહત્ય કરીશ પછી વૈદેહી જ્યારે પણ જેલ મુલાકાતમાં આવતી ત્યારે કેતનને લગ્ન ક્યારે કરીશ તેવુ પુછ્યા કરતી હતી. આખરે થાકીને કેતને લગ્ન કરવાની તૈયારી બતાડી હતી.

જ્યારે વૈદેહીએ કેતન સાથે લગ્ન કરે છે તેવી જાહેરાત પોતાના ઘરે કરી ત્યારે તેના પિતાએ તેને ઘર છોડી દેવા જણાવ્યુ હતું. વૈદેહીએ કેતન સાથે લગ્ન કરવુ જોઈએ નહીં તે માટે કેતનના મમ્મી-પપ્પાએ પણ તેને સમજાવી પણ તે માની નહીં. આખરે કેતન સાથે તેના લગ્ન નક્કી થયા હતા. લગ્ન માટે કેતનને જેલ આઈજીપીએ પોલીસ જાપ્તા સાથે ત્રણ દિવસની પેરોલ આપી હતી. વૈદેહી પોતાના ઘરેથી નિકળી કેતનના મમ્મી-પપ્પા પાસે આવી ગઈ હતી. વૈદેહીનું કન્યાદાન પણ કેતનના મમ્મી-પપ્પાએ કર્યુ હતું. આ પહેલુ લગ્ન હતું જેમા વરરાજા સાથે જાન આવે તેના બદલે હથિયારધારી પોલીસ આવી હતી. લગ્ન પછી વૈદેહી કેતનના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. કેતન અને વૈદેહીની પ્રેમ કહાની અને લગ્ન સુધીની સફર જેલમાં મોટા ભાગના તમામ જુના કેદીઓને ખબર હતી. વોર્ડની વાત સાંભળી પરવેઝે વચ્ચે રોકતા પુછ્યુ કોઈ લડકી ઐસા ભી પ્યાર કર શકતી હૈ? વોર્ડન જવાબ આપે તે પહેલા મહંમદ થોડુ હસ્યો અને તેણે જવાબ આપ્યો ઐસા પ્યાર ઔરત હી કર શકતી હૈ, મર્દ નહીં, યુનુસ સમજી ગયો કે મહંમદ પોતાની બેગમ આયતના સંદર્ભમાં આવુ કહી રહ્યો છે. વોર્ડને કહ્યુ કે છેલ્લાં દસ વર્ષથી કેતનની પત્ની વૈદૈહી નિયમિત કેતને મળવા માટે આવતી હતી. કેતને પણ તેને ખાતરી આપી હતી કે જેલમાંથી છુટ્યા પછી તે ક્યારેય કોઈ ખોટુ કામ નહીં કરે.


 

 

 

 

 

હત્યાની આગલી સાંજે કેતન મુલાકાતમાં વૈદેહીને મળી આવ્યો ત્યારે ખુબ ખુશ હતો. તેણે બીજા કેદીઓને પણ જ્યારે સમાચાર આપ્યા ત્યારે તેઓ પણ ખુશ થઈ ગયા હતા. વૈદેહીએ ગાંધીનગર ગૃહ વિભાગમાં ગઈ હતી ત્યાંથી સમાચાર મળ્યા હતા કે ગુજરાત સરકાર જે કેદીઓ દસ વર્ષની સજા કાપી હોય તેમને ગાંધી જંયતિ નિમિત્તે બાકીના સજા માફ કરવાની છે. કેતનની સજાને દસ વર્ષ પુરા થઈ અગીયાર વર્ષ થયા હતા તેના કારણે તેને આશા બંધાઈ હતી કે તે જલદી જેલમાંથી છુટશે અને એક નવી જીંદગીની શરૂઆત કરશે, પણ કેતન સાથે કુદરત કાયમ મશ્કરી કરતી હતી. તેણે જ્યારે પણ જીંદગીને બદલવાનો નિર્ણય કર્યો ત્યારે કુદરત તેનો નિર્ણય બદલી નાખતી હતી. કેતનને મોડા સુધી ઉંઘવાની ટેવ હતી, તે દિવસે પણ બંદી ખુલી ત્યારે મોટા ભાગના કેદીઓ ઉઠી ગયા હતા પણ કેતન સુઈ રહ્યો હતો. બાજુની બેરેકમાં મંગા સાથે રહેતો જીગો અનો મોન્ટુ બંદી ખુલ્યા પછી હાથમાં છરા સાથે દોડતા કેતનની બેરેકમાં આવ્યા અને કેતન ઉપર પાગલની જેમ તુટી પડ્યા હતા. એક પછી એક ઘા વાગતા ગયા અને કેતન હુંકારો પણ બોલાવી શક્યો નહી. કેતન જેલમાંથી છુટવાનો વિચાર કરી રહ્યો હતો પણ તેની જીંદગીએ જ તેને અલવીદા કહી દીધુ હતું. વોર્ડન પોતાની વાત પુરી કરી ઉભો થયો ત્યારે અબુએ વોર્ડનેને પુછ્યુ અબ ઉસકી બીબી વૈહેહી કા ક્યાહોંગા, અબુ જેવો ખુંખાર કેદી વૈદેહીના પ્રેમ અને બલિદાનની વાત સાંભળી અંદરથી હચમચી ગયો હતો.  અબુ કેરળનો હતો, તેને ભાષાની તકલિફ પડતી હોવાને કારણે તે ઓછુ બોલતો હતો પણ તેને વોર્ડને ગુજરાતીમાં કરેલી વાત સમજાઈ ગઈ હતી, કારણ વેદનાને પોતાની કોઈ ભાષા હોતી નથી.  (ક્રમશ:)

દીવાલ: ભાગ 17: મંગાની સામે જેલમાં એક પડકાર ઉભો થયો હતો, જો કેતન ખતમ થાય નહીં તો મંગો ખતમ થઈ જવાનો હતો

દીવાલ: ભાગ 16: જેલમાં પણ કેદીઓના વિસ્તાર અને સામ્રાજય હોય છે, પણ કેતન બાટલીએ, મંગાને પડકરાવાની હિંમત કરી