મેરાન્યૂઝ નેટવર્ક.નાગપુર: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પાકિસ્તાનનું કરાચી એક દિવસ ભારતનો ભાગ હશે. મુંબઈની એક દુકાનનું નામ બદલવાની માંગ વચ્ચે ફડણવીસ તરફથી આ ટિપ્પણી આવી છે, જેમાં શિવસેનાના એક નેતાએ બાંદ્રા સ્થિત કરાચી સ્વીટ્સના માલિકને દુકાનના નામથી 'કરાચી' શબ્દ કાઢી નાખવા જણાવ્યું છે. જોકે, શિવસેનાનું કહેવું છે કે નામ બદલવાની માંગ એ પક્ષનો સત્તાવાર સ્ટેન્ડ નથી.
ફડણવીસે શનિવારે પત્રકારોને કહ્યું, "અમે અખંડ ભારત પર વિશ્વાસ રાખીએ છીએ. અમારું માનવું છે કે એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ હશે."
જણાવી દઈએ કે શિવસેનાના નેતા નીતિન નંદગાંવકરનો ગત સપ્તાહે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કથિતપણે કરાચી સ્વીટ્સના માલિકને દુકાનનું નામ બદલવા કહે છે. તે કહે છે કે "તમારે આ કરવું પડશે, અમે તમને સમય આપી રહ્યા છીએ. કરાચી બદલીને કોઈ મરાઠી શબ્દ રાખો."
આ મામલે વિવાદ ઉભો થયા પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કરાચી બેકરી અને કરાચી સ્વીટ્સનું નામ બદલવાની માંગ તેમની પાર્ટીનો સત્તાવાર વલણ નથી. તેમણે કહ્યું, "કરાચી બેકરી અને કરાચી સ્વીટ્સ છેલ્લાં 60 વર્ષથી મુંબઇમાં છે. તેનો પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. તેથી નામ બદલવાનું કોઈ અર્થ નથી. નામ બદલવાની માંગ શિવસેનાનું સત્તાવાર વલણ નથી."