મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ અમદાવાદ ખાતે ભાગવત વિદ્યાપીઠમાં યોજાયેલા લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યા હતા. તેમણે આ દરમિયાન પાટીદાર શિરોમણી એવોર્ડ પણ એનાયત કર્યા હતા. તેમણે પાટીદાર સમાજમાં વિવિધ ક્ષેત્રમાં સારું કામ કરનાર વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માન આપ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પાટીદાર સમાજ પોતાની ઉદ્યમશીલતા, સાહજિકતાથી શૂન્યમાંથી સર્જન કરનારો મહેનતકશ સમાજ છે. તેમણે કહ્યું કે, આ સમાજે જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની સફળતાના ડંકા વગાડ્યા છે તેના મૂળમાં પાટીદાર સમાજની મહેનત તથા છેવાડાના માનવીને મદદરૂપ થવાની ભાવના તથા સંસ્કાર રહેલા છે.

અમદાવાદના ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા લવ-કુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં તેમણે કહ્યું કે, સરદાર સાહેબની ખુમારી ધરાવતા પાટીદાર સમાજે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે તેને સિદ્ધ કર્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ગુજરાતના વિકાસમાં અગ્રેસર છે, અનેક ક્ષેત્રોમાં ગુજરાત નંબર વન છે, ગુજરાત દેશનું રોલમોડેલ બન્યું છે તેમાં મૂળમાં અનેક પાટીદારોનો પરિશ્રમ રહેલો છે. તેમના પરસેવાને કારણે જ ગુજરાત ઉજળું છે, દેશમાં મોખરે છે. આજે સમાજમાં એકતાની જરૂર છે. સૌ સાથે મળીને કાર્ય કરીએ તો કોઈ પણ સફળતા હાંસલ કરી શકાય છે તેવા સમયે કડવા અને લેઉવાના ભેદ ભૂલી સૌ એક બનીને નેક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આવા સંમેલનો દ્વારા માનવતાના કાર્યોની સમાજમાં સુવાસ ફેલાય છે અને સમાજની એકતા સમાજમાં દ્રઢ બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. કડવા અને લેઉવા બન્ને સમાજ એક જ છે ત્યારે બંનેની સાથે ચાલવાની માનસિકતા સૌના સુખે સુખી, સૌના દુ:ખે દુ:ખીની ભાવનાને દ્રઢિભૂત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આવનારા દિવસોના પ્રડકારો ઝીલી સમાજના સેવાકીય કાર્યોમાં સરકાર પણ તમારી સાથે રહેશે તેમ જણાવી સરદાર સાહેબના સ્વપ્નના ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.

તેમણે સૌના સાથ -સૌના વિશ્વાસ અને સૌના સહકાર દ્વારા ગુજરાતને હજુ વધુ ઊંચાઈ સુધી લઈ જવું છે, જેમાં સૌ સમાજની એકતાને સુદ્રઢ કરતા આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. સૌ સમાજની એકતા દ્વારા ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા તેમણે આ તબક્કે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાજના ઉત્કર્ષ તથા સાહિત્ય સંસ્કૃતિના જતન -સંવર્ધન માટે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોનું પાટીદાર શિરોમણી એવોર્ડથી સન્માન પણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, લક્ષ્મી, સરસ્વતી, માનવતા અને મહેનતને સન્માનિત કરવાનો આ બહુમુખી કાર્યક્રમ છે. પાટીદાર સમાજ એક જ છે, તેમાં ભૂતકાળમાં કોઈ કારણસર ભેદભાવ થયા હોય છતાં, આજે બન્ને સમાજ એક જ સ્થળે, એક જ મંચ હેઠળ એકત્રીત થયો છે તે આનંદની વાત છે. આવા કાર્યક્રમોને સમાજને ફેવીકોલની જેમ બોન્ડિંગથી જોડવાનું કાર્ય કરે છે. જરૂરિયાતના સમયે હાકલ પડે ત્યારે બન્ને સમાજે એકબીજાના પડખે ઉભા રહી મજબૂત સહકાર આપવાનું આહ્વાન પણ તેમણે કર્યું હતું.

આ અવસરે શિક્ષણ ક્ષેત્રે પ્રદાન કરનાર નિરમાના કરસન પટેલ, ઉદ્યોગ ક્ષેત્રે પ્રદાન કરનાર ઝાયડસના પંકજ પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણી પટેલ, સહકારી ક્ષેત્રે પ્રદાન કરનાર વિઠ્ઠલ પટેલ, સાહિત્યક્ષેત્રે પ્રદાન કરનાર ગુણવંત શાહ, તબીબી ક્ષેત્રે પ્રદાન કરનાર ડૉ. તેજસ પટેલ, દિવ્યાંગ ક્ષેત્રે મનુ સોમાભાઈ પટેલ, શિક્ષણ ક્ષેત્રે પ્રિન્સિપાલ ભીખુ પટેલનું પાટીદાર શિરોમણી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

લવકુશ મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, વિધાનસભાના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, મેયર બિજલબેન પટેલ, અમદાવાદના ધારાસભ્યો, પાટીદાર પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારો, પાટીદાર સમાજના આગેવાનો તથા પાટીદાર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.