પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર રહી ચુકેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અનેક રાજકીય અને સામાજિક મર્યાદાઓ આપણને સમજાય છે પરંતુ આજે ગુરુવારના દિવસે ડીપીએસ સ્કૂલમાં નિત્યાનંદ બાબાના પ્રકરણમાં યુથ કોંગ્રેસના કાર્યકરો આવેદન પત્ર આપવા આવી રહ્યા છે તેવી ખબર મળતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત યુનિવર્સિટી ખાતેનો પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. બીજી તરફ ડીપીએસ સ્કૂલ સામે રજૂઆત કરવા આવેલા કાર્યકરો જાણે ગુનેગાર હોય તે રીતે પોલીસે તેમને ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી દીધા હતા. (વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફના સંબંધો ગુજરાતના અને સનદી અને રાજકીય અધિકારીઓ સાથે હોવાના કારણે મારો વાળ પણ વાંકો થશે નહીં તેવી તુમાખીમાં જીવતા મંજુલા શ્રોફને ખબર પડી નહીં કે પોતાના પગ નીચે રહેલી કાર્પેટ ક્યારે ખસી રહી છે. દક્ષિણ ભારતના લંપટ બાબા એવા નિત્યાનંદને ગુજરાત લાવવાનો ઘોર અપરાધ કર્યા પછી કઈ રીતે નિત્યાનંદ બાબાને બચાવી શકાય તેવા તમામ પ્રયાસો મંજુલા શ્રોફ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત અત્યંત ગંભીર બાબત કે હમણાં સુધી પોતાની પ્રામાણિક અને નૈતિકતાની છાપ ધરાવનાર મંજુલા શ્રોફે ડીપીએસ હાથીજણ બ્રાન્ચની મંજુરી લેવા માટે પોતાના સોગંદનામા પર જે જુઠ્ઠો એકરાર કર્યો તેની શરમ માત્ર મંજુલા પુજા શ્રોફને જ આવવી જોઈએ. દુનિયાની તમામ સંપત્તિ અને પ્રસિદ્ધી મેળવ્યા પછી પોતાની સાથે જ જુઠ્ઠુ બોલનાર મંજુલા પુજા શ્રોફ આજે એવી સ્થિતિમાં આવીને ઊભા છે કે અરિસ્સામાં પોતાનું મોંઢુ જોઈ શકતા નથી.

આજે ગુરુવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુનિવર્સિટી આવી રહ્યા છે તેવી જાણકારી મળતાં એનએસયુઆઈના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકાર અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં પોલીસે તેમને ટીંગાટોળી કરી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જુઓ વીડિયો...