દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા. અમેરિકા): વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે નોર્થ અમેરિકાની યુનિવર્સિટીના માધ્યમથી ‘આધુનિક યુગમાં વિશ્વ ધર્મનો અદ્યતન અભ્યાસ’ વિષય પર સંશોધન-િનબંધ રજૂ કરી ઓનરરી ડૉક્ટરેટની ડીગ્રી મેળવી છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે તાજેતરમાં આઇ.એમ.એસ. હોલમાં આયોજિત  કાર્યક્રમમાં નોર્થ અમેરિકા યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉ.રિચાર્ડ સાવેડ્રાના હસ્તે વૈષ્ણવાચાર્યને ‘ડૉ. દ્વારકેશલાલજી ગોસ્વામી’ ની પદવીથી સન્માનિત કરાયા હતા.

વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ દ્વારા હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે અવિરત પ્રયાસો કરાઇ રહ્યા છે.  જે અંતર્ગત યુનિવર્સિટી ઓફ નોર્થ અમેરિકામાંથી તેમણે ‘એડવાન્સ્ડ સ્ટડી ઓફ વર્લ્ડ રિલિજીયન ઇન ધ મોર્ડન એજ’ (આધુનિક યુગમાં વિશ્વ ધર્મનો અદ્યતન અભ્યાસ) વિષય પર સંશોધન સાથે નિબંધ સુપરત કરાયો હતો.  આ સંશોધન-નિબંધને માન્ય રાખી યુનિ.ઓફ નોર્થ અમેરિકા દ્વારા દ્વારકેશલાલજી મહારાજને નોન એકેડેમિકલ ઓનરરી ડૉક્ટરેટ (PhD)ની ડીગ્રી એનાયત કરવાનું જાહેર કરાયું હતું. 

કોરોના મહામારીને કારણે ડીગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ એસોસિયેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકાના ઉપક્રમે અમદાવાદ ખાતે આઇ.એમ.એસ. હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નોર્થ અમેરિકા યુનિ.ના પ્રતિનિધિ ડૉ. રિચાર્ડ સાવેડ્રાના હસ્તે દ્વારકેશલાલજીને શાલ ઓઢાડીને ડીગ્રી સર્ટિફિકેટ એનાયત કરી ડૉક્ટરેટની પદવીથી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, ન્યાયવિદ મધુકર શેઠ, ડૉ.શૈલેષ ઠાકર, હરિશ ભિમાણી, કલાકાર મનોજ જોશી અને દિલીપ જોશી તેમજ અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો અને વૈષ્ણ‌વો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


 

 

 

 

 

સંશોધનમાં તેમણે ધર્મની વાતને સરળ રીતે સમજાવી: ડૉ.સાવેડ્રા

નોર્થ અમેરિકા યુનિ.ના પ્રતિનિધિ ડૉ. રિચાર્ડ સાવેડ્રાએ ડીગ્રી એનાયત કર્યા બાદ સંબોધન કર્યું હતું. સાવેડ્રાએ જણાવ્યું હતું કે, ડૉ. દ્વારકેશલાલજીએ તેમના સંશોધનમાં અદભૂત રીતે જ્ઞાનનું ઊંડાણ રજૂ કર્યું છે. એટલું જ નહીં ઊંડાણપૂર્વકના વિષય અને ધર્મની વાતને ખૂબ જ સરળ રીતે સમજાવી તેને આસાન બનાવી દીધી છે.

ઇન્ડિયન ફિલોસોફી જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન આધારિત છે: દ્વારકેશલાલજી

ડૉક્ટરેટની પદવીથી સન્માનિત ડૉ. દ્વારકેશલાલજી મહારાજે તેમના સંશોધન અંગે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ફિલોસોફી જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન આધારિત છે. જ્ઞાન એ પરિશ્રમ સાધ્ય છે. વિજ્ઞાનએ પ્રયોગ સાધ્ય છે, જ્યારે પ્રજ્ઞાનએ અનુભવ સાધ્ય છે. આધ્યાત્મિક વિજ્ઞાન ‘માઁ’ છે,  આધુનિક વિજ્ઞાન ‘માસી’ છે જ્યારે તબીબી વિજ્ઞાન એ ‘ફોઇ’ છે. માઁ ની જરૂરિયાત રોજ પડે છે. ભારતમાં અગ્નિ પર શ્રદ્ધાળુઓ ચાલે છે છતાં દાઝતા નથી,  ઇન્ડોનેશિયામાં જીભની વચ્ચેથી સળિયો કાઢે છે છતાં કશું થતું નથી. મેડિકલ સાયન્સમાં આ વાત માનવી શક્ય નથી. જ્યારે આધ્યાત્મિક વિજ્ઞાનમાં આ શક્ય છે.