પ્રખ્યાત ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક સમયે ટપુનું પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું ગત 11 મેના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું.

એક વેબ પોર્ટલ સાથે ઇન્ટરવ્યુમાં ભવ્યના માતા અને વિનોદ ગાંધીના પત્ની યશોદા ગાંધીએ કહ્યું હતું, 'મારા પતિ કોરોનાવાઈરસ જ્યારથી આવ્યો ત્યારથી ઘણી જ સાવધાની રાખતા હતા. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે હંમેશાં માસ્ક પહેરતા હતા તેમજ હાથ સેનિટાઈઝ પણ કરતા હતા. છતાંય તેમને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.  એક મહિના પહેલાં તેમણે મને કહ્યું કે તેમને ઠીક નથી લાગતું અને તેથી જ આજથી તું મારા રૂમમાં ના રહીશ. બીજા દિવસે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેમને સામાન્ય તાવ હતો અને તેથી જ મેં તરત જ ડોલો ટેબલેટ આપી હતી. બપોરના સમયે તેમણે મને કહ્યું કે તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. તેથી હું તાત્કાલિક તેમને લઈને ચેસ્ટ સ્કેનિંગ માટે ગઈ હતી. રિપોર્ટમાં 5% ઈન્ફેક્શન હોવાનું આવ્યું હતું. તેથી ડૉક્ટર્સે ઘરે જ આઈસોલેશનમાં રહેવાની અને ચિંતા જેવું કંઈ જ નથી તેમ કહ્યું હતું. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની દવા ચાલુ કરવામાં આવી હતી. જોકે, બે દિવસ બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો.'

યશોદા ગાંધીએ જણાવ્યું કે અમે ફરીવાર CT સ્કેન કરાવ્યો તો ઈન્ફેક્શન ડબલ થઈ ગયું હતું અને તેથી જ અમારે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે તેમ હતાં, પરંતુ મને એક પણ હોસ્પિટલ મળતી નહોતી. હું જેને પણ ફોન કરતી તે એમ જ કહેતા કે BMCમાં રજિસ્ટ્રેશન કરાવો અને જ્યારે તમારો નંબર આવશે ત્યારે BMC તમને ફોન કરશે. જોકે, ભવ્યના મેનેજરની મદદથી અમને દાદરની એક હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. બે દિવસ બાદ ડૉક્ટર્સે ICUની જરૂર હોવાની વાત કહી હતી અને હોસ્પિટલમાં ICU બેડ્સ નહોતા. તેથી હોસ્પિટલે બીજે શિફ્ટ કરવાનું કહ્યું હતું. મેં 500થી વધુ ફોન ICU બેડ્સ માટે કર્યા હતા. હોસ્પિટલથી લઈ રાજકારણી, સ્વૈચ્છિક સંસ્થા, મારા ઓળખીતા, કેટલાંક પરિવારના સભ્યો સહિતના લોકોને ફોન કર્યા હતા. જોકે, મને ICU બેડ મળી શક્યો નહોતો. હું અને મારો પરિવાર પૂરી રીતે ભાંગી પડ્યા હતા. તે સમયે અમે અમારી જાતને લાચાર સમજતા હતા. જોકે, ભગવાનની દયાથી એક મિત્રની મદદથી અમને ગોરેગાવની નાનકડી હોસ્પિટલમાં ICU બેડ મળ્યો હતો.'

યશોદાએ જણાવ્યું કે, ગોરેગાવની હોસ્પિટલમાં મારા પતિને કારણે મારા મોટા દીકરા તથા પુત્રવધૂને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે બંને ઘરમાં જ આઈસોલેશનમાં હતા અને હું તેમનું ધ્યાન રાખતી હતી. ભવ્ય હોસ્પિટલમાં પિતાનું ધ્યાન રાખતો હતો. ડૉક્ટરે રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું રહ્યું હતું અને તે ઇન્જેક્શન લાવી આપ્યા. ત્યારબાદ ડૉક્ટરે અમને ટોક્સિન ઈન્જેક્શન લાવવાનું કહ્યું હતું. મારે તે ઈન્જેક્શન દુબઈથી તાત્કાલિક મગાવવું પડ્યું અને 45 હજારના ઈન્જેક્શનના મારે એક લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. જોકે તે ઈન્જેક્શનની મારા પતિની સારવારમાં કોઈ અસર ના થઈ. છેલ્લે અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતાં. જ્યાં 15 દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું હતું.