મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન વચ્ચે કેન્દ્ર સરકાર અને શાસક ભાજપ સીધા જ ખેડૂતોને તેમના ફાયદાની વાત કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ખુદ ખેડૂતો વચ્ચે હશે. તેઓ એક દિવસીય પ્રવાસ પર ગુજરાતના કચ્છ આવી રહ્યા છે. જ્યાં વડા પ્રધાન ધારડોમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને કચ્છના ખેડૂત સમુદાય સાથે વાતચીત કરશે.

વડા પ્રધાન ગુજરાતના શીખ ખેડૂતોને પણ મળશે. આ માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. નિવેદન મુજબ વડા પ્રધાન કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને કચ્છના ધરડોના ખેડૂતો અને કલાકારો સાથે વાતચીત કરશે. તેઓ મુખ્ય કાર્યક્રમ પૂર્વે કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરશે.

વડા પ્રધાન જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે તેમાં હાઇબ્રિડ નવીનીકરણીય ઉર્જા પાર્ક અને સ્વચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ શામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન સફેદ રણની પણ મુલાકાત લેશે. કચ્છના વિઘાકોટ ગામમાં બનાવવામાં આવનાર એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન પાર્ક બનશે.

રાજ્યના માહિતી વિભાગ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ભારત-પાક સરહદ નજીક શીખ ખેડૂતોને વડા પ્રધાન સાથે વાતચીત કરવા આમંત્રણ અપાયું છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને આસપાસ 5,000 જેટલા શીખ પરિવારો રહે છે.

નોંધનીય છે કે નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો બે સપ્તાહથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો સાથે અત્યાર સુધીની વાટાઘાટોમાં કોઈ પરિણામ આવ્યું નથી. મોટી સંખ્યામાં વિરોધ કરનારા પંજાબ-હરિયાણાના શીખ ખેડૂત છે. તેથી જ માનવામાં આવે છે કે વડા પ્રધાન ખેડૂતો સાથેની આ બેઠક દ્વારા શીખ સમુદાય અને ખેડૂતોને સંદેશ આપવાનો પ્રયાસ કરશે.