મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ-૬ થી ૮ ના વર્ગોમાં આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી વર્ગખંડ શિક્ષણકાર્ય-ભૌતિક રૂપે શરૂ કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે ધો-૬ થી ૮ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે. તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું. 

શિક્ષણ મંત્રીએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહીં સાથોસાથ કોઇ વિદ્યાર્થી સંક્રમિત પણ ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજ્ય સરકારે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાનો નિર્ણયો કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે હવે રાજ્યભરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને ધો-૬ થી ૮ ના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનું રાજ્ય મંત્રીમંડળે નક્કી કર્યું છે. 

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધોરણ-૬ થી ૮ ના આ વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના પ૦ ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે. એટલું જ નહીં, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીએ પોતાના વાલીનો સંમતિપત્ર પણ લાવવાનો રહેશે, જે વાલી સંમતિ આપે તે જ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. 
તેમણે એમ પણ ઉમેર્યું કે, હાલ રાજ્યમાં શાળાઓમાં ધો-૯ થી ૧ર ના વર્ગોમાં શિક્ષણકાર્ય ચાલે છે તે માટેની જે S.O.P અને કોરોના સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા અમલી છે તેનું ચુસ્ત પાલન ધો-૬ થી ૮ના વર્ગખંડોના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓએ સુનિશ્ચિતપણે કરવાનું રહેશે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. 

શાળાઓમાં વર્ગખંડોમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય, શિક્ષકો-સ્ટાફ અને વિદ્યાર્થીઓ માસ્ક અવશ્ય પહેરે તેની પણ તકેદારી રાખવાની તાકિદ કરવામાં આવી છે. તેવુ પણ તેમણે ઉમેર્યુ હતું. રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં ર૦ હજારથી વધુ સરકારી શાળાઓ સહિત ધો-૬ થી ૮ ના વર્ગો ધરાવતી કુલ ૩૦ હજારથી વધુ શાળાઓના ૩ર લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે. 

આવી શાળાઓએ સંસ્થાના પરિસરમાં હેન્ડવોશ/સેનિટાઇઝરના પૂરતા પોઇન્ટ રાખવાની તેમજ સરકાર દ્વારા વખતો-વખત બહાર પાડવામાં આવતી કોવિડ-19 ગાઇડ લાઇન્સનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે, તેમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.