મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: જુનાગઢના ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો મોકૂફ રખાયા બાદ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ભવનાથ મંદિરમાં દર વર્ષ શિવરાત્રીમાં પરંપરાગત ભાતીગળ મેળો યોજાય છે જેમાં અરવલ્લી-સાબરકાંઠા સહીત મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટતા હોય છે. કોરોના સંક્રમણ ફરીથી રોકેટ ગતિએ વધતા શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે ઇતિહાસમાં પ્રથમ વાર શિવરાત્રી મેળાનું આયોજન રદ કરતા ભક્તોએ મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયને આવકાર્યો હતો જો કે શિવરાત્રીએ મંદીર ખુલ્લું રહશે અને સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તો મહાદેવના દર્શન લાભ લઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા માટે તાડામાર તૈયારીઓ આદરી દીધી છે.

અરવલ્લીની પર્વતીય ગુફાઓની વચ્ચે આવેલ અને ભિલોડા થી ૮ કિમી દૂર આવેલા જુના ભવનાથ મંદિર અને ભિલોડામાં આવેલા નવા ભવનાથ મંદિરમાં શિવરાત્રીએ ભવ્યાતિભવ્ય લોકો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડી મહાદેવના દર્શન કરતા હોય છે. કોરોના મહામારીના પગલે શિવરાત્રીએ પરંપરાગત મેળાને મૌકૂફ રાખવાનો ઐતિહાસીક નિર્ણય જુના ભવનાથ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે.