મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલા અશોક ડાંગરને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતુ, પણ પક્ષમાં થતી સતત અવગણનાથી કંટાળીને આજે અગાઉ મેયર રહી ચૂકેલા અશોક ડાંગરે રાજીનામું આપ્યું છે. અશોક ડાંગરના રાજીનામાંથી શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આવતીકાલે તેઓ સત્તાવાર કોંગ્રેસમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા દિગગજ નેતાએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

અશોક ડાંગરે મેરાન્યૂઝ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાયા બાદ છેલ્લા ઘણા સમયથી કોઈ મહત્વનો હોદ્દો મળ્યો નહોતો. એટલું જ નહીં પક્ષમાં જાણે મારી જરૂર જ ન હોય તેમ સતત ભારે અવગણના કરવામાં આવી રહી હતી. જેને પગલે છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહ્યા બાદ અંતે કોંગ્રેસ સાથે જોડાવાનું નક્કી કર્યું છે. જે મુજબ આજરોજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને રાજીનામું સુપરત કર્યું છે. તેમજ આવતીકાલે સત્તાવાર કોંગ્રેસમાં જોડાનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ બંને પોતાનો પક્ષ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે એક ઓબીસી નેતા પરત ફરતા કોંગ્રેસના આગેવાનોમાં ખુશી જોવા મળી રહી છે.