મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજ્યમાં સંગઠિત ગુનાખોરી આચરતી ગુંડા ગેંગને નાથવા સૌથી કડક ગુજસીટોક (ધી ગુજરાત ક્ધટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ) હેઠળ ગૂના નોંધી જેલભેગા કરવાનું શરૂ કરાયું છે. આ કાયદા અંતર્ગત પોલીસે દૂધસાગર રોડ વિસ્તારના કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા સહિત 11 સભ્યની ગેંગને ગુજસીટોક હેઠળ જેલભેગા કર્યા પછી ભીસ્તીવાડનાં કુખ્યાત ખીયાણી ગેંગના ત્રણેય સગા ભાઇ એજાઝ, મીરઝાદ અને મુસ્તુફા, ઉપરાંત ઇમરાન મેણુ, સહિત 11 સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંધ્યો છે. 

આ અંગેની જાણકારી આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં ડીસીપી માનનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, ખૂન, ખૂનની કોશિષ, ફાયરીંગ, લૂંટ, ધાડ, અને મની લોન્ડરીંગ સહિતનાં  સંખ્યાબંધ ગુના આચરનાર આ ટોકળીના 11 માંથી 4 આરોપી ખૂન,લૂ઼ંટના ગુનામાં જેલમાં છે. બે આરોપીએ ગઇકાલે જ પકડવા આવેલી પોલીસ ટીમ પર પથ્થમારો કરતા બન્નેને ઝડપી લેવાયા હતા. અન્ય ત્રણ આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયા છે. તેમજ મુખ્ય સૂત્રધાર ફરાર હોઈ પોલીસે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. 

આ ગેંગનાં સભ્યો વિશે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે, શહેરના જંકશન વિસ્તારના ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત અક્બર ઉર્ફે હકુભા ખીયાણીના ત્રણ પુત્ર એજાજ ઉર્ફે ટકો, મીરજાદ અને મુસ્તુફા સામે ખૂનની કોશિષ, ફાયરીંગ, જુગાર, મારમારી, દારુ, વ્યાજખોરી સહિત અને ગુના નોંધાયા હતા. જ્યારે રાજન ઉર્ફે સરતાન હમીદભાઇ ખીયાણી પણ જેલના સંત્રીના લમણે તમંચો મુકી સ્ટાફ ઉપર સશસ્ત્ર હુમલો, મારામારી, આર્મ્સ એક્ટ સહિત અનેક ગુનામાં પકડાઇ ચૂક્યો છે. ઇમરાન જાનમહમદ મેણુની પણ મારામારી, ખૂનની ધમકી, જુગાર સહિત અનેક ગુનામાં સંડોવણી છે. 

જ્યારે ખૂનના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ અને શાહરુખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ ઉર્ફે બાબુ જુણેજા જેલમાં બેઠા બેઠા પણ ફોન ઉપર ધમકીઓ આપીને ગેંગ ઓપરેટ કરી રહ્યા છે. અનેક ગુનામાં સંડોવાયેલો યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણભાઇ કઇડા તાજેતરમાં જ ઇંડાની લારીને યુવકને માર મારી લૂંટ કરવાના ગુનામાં પકડાયો છે. અને માજીદ રફીકભાઇ ભાણુ તેમજ મુસ્તુફા અક્બરભાઇ ઉર્ફે હકુભા ખીયણીને પોલીસ બળજબરીથી પૈસા પડાવવાના ગુનામાં શોધી રહી હતી. ગઇકાલે કુવાડવા નજીક બન્ને આરોપીએ તેને પકડવા આવેલા પ્રનગરના પીએસઆઇ કે.ડી.પટેલ સહિતના સ્ટાફ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઇ પટેલને ઇજા થઇ હોવા છતાં બન્નેને ઝડપી લીધા હતા. બન્ને સામે હુમલો, ફરજમાં રૂકાવટની અલગ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત તમામ 11 આરોપી સામે 2011થી આજ સુધી એટલે કે છેલ્લા એક દસકામાં અનેક ગુનાઓ નોંધાયા હોવાથી કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઇ એલ.એલ. ચાવડાએ જાતે ફરિયાદી બની ગુજસીટોક મુજબ ફરિયાદ નોંધાવી હોવાનું પણ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું..