મેરાન્યૂઝ નેટવર્ક.કરજણઃ કરજણમાં ધારાસભ્યના પક્ષ પલ્ટા બાદ ફરીથી ચૂંટણી યોજાવાની છે. આગામી 3 નવેમ્બરે યોજાનારી ગુજરાતની આવી વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા. જે દરમિયાન પત્રકારો સાથે વાતચિત દરમિયાન કોઈ શખ્સે તેમના પર ચપ્પલ ફેંકી શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસ આ શખ્સની શોધ કરી રહી છે. આ ઘટનાની કોંગ્રેસે નિંદા કરી છે. જોકે નાયબ મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની પરવાહ કર્યા વગર પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.
કરજણના કુરાલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.
કરજણમાં @Nitinbhai_Patel ઉપર ચપ્પલ ફેંકી શખ્સ ભાગી ગયો, @INCGujarat એ ઘટનાની નિંદા કરી#Gujarat #Karjan @BJP4Gujarat pic.twitter.com/3qZJu2dpSd
— MeraNews Gujarati (@MeraNewsGujarat) October 26, 2020
આ અગાઉ ગોપાલ ઈટાલિયા દ્વારા ગુજરાતના હાલના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જુત્તું માર્યાની ઘટના બની હતી. જોકે તે પછી રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરનાર ગોપાલ ઈટાલિયાને ઘણી પ્રસિદ્ધી મળી ગઈ હતી. આવા તો ઘણા કિસ્સાઓ દેશ દુનિયામાં બન્યા છે, જોકે આ ઘટનાને કોંગ્રેસે વખોડી કાઢી છે. સાથે જ ભાજપની નેતાગીરી પણ આ ઘટનાથી નારાજ થઈ છે. બીજી બાજુ જુત્તુ મારનાર કોણ તેની પણ શોધમાં પોલીસ ધૂંઆપૂંઆ થઈ ગઈ છે. આ ઘટના બની ત્યારે ચર્ચાઓનો દૌર ચાલ્યો કે કોઈ કોંગ્રેસી, નારાજ જનતા કે પછી કોઈ ભાજપમાંથી જ નારાજ વ્યક્તિનું આ કારસ્તાન હોઈ શકે છે.
'રાજ્યના નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જૂતા ની ઘટનાને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે..'
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય..પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા ન્હોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ?? આવી સાદી સમજણ પણ પડતી નથી ???
કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી..
ભાજપને સમજણ પડવી જોઈએ કે પ્રજા અને ભાજપના કાર્યકરને માથે તમે પક્ષપલ્ટુ ઉમેદવાર માથે ઠોક્યા છે. એનો રોષ જનતા અને ભાજપના કાર્યકર્તાઓમાં છે જે એમના જ સભા સ્થળે વ્યક્ત કરી રહ્યા છે અને દોષ વિપક્ષને આપે છે.
મુખ્યમંત્રી પદે પોંખાવા નીકળેલા નીતિનભાઈને માંડવેથી પાછા વાળનાર ભાજપે અપમાન નુ જુતુ માર્યું ત્યારે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આજે કોઈ તોફાની તત્વ દ્વારા જુતુ ફેકાયાની ઘટના બાદ પણ સંવેદના વ્યક્ત કરૂ છું.
અમે પ્રશાંત ભુષણ પર હુમલો કરનાર ને યુવા મોરચાનુ પદ આપનાર સંસ્કૃતિના વાહક નથી .કુલકર્ણીનો મોઢુ કાળુ કરનારા ને પ્રોત્સાહિત કરનાર ભગવાબ્રીગેડ જેવી માનસિકતા અમારી હોઈ જ ના શકે . રાહુલ ગાંધી પર પથ્થરો ફેકવાની ઘટનામાં અને મનમોહનસિંહ જેવા પ્રામાણિક અને સંનિષ્ઠ વ્યક્તિ પર જુતુ ફેકાયું ત્યારે એ ઘટનામાં પ્રજાનો રોષ જોનારી ભાજપ આજે કોગ્રેસના નામે કાગારોળ કરી રહી છે પણ ભુતકાળ પર નજર નથી કરતી. ત્યારે ઘટના ને વખોડી હોત તો સમાજમાં દાખલો બેસત પરંતુ ત્યારે તો ખાનગીમાં તાળીઓ લેતા હતા..છતાં આવી ઘટનાઓ લોકશાહીમાં વ્યાજબી નથી અને તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી જ નથી..
આત્મારામ કાકાનુ ધોતીયુ ખેચનાર, દત્તાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર , સંજય જોશીની સેક્સ સીડી નુ કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી છે તે સમજાતુ નથી . જે બન્યુ તે સદંતર ખોટું છે, સરકાર ભાજપની છે .જે કોઈ અપરાધી હોય તેને સજા કરે બાકી કોગ્રેસનો હાથ તો ઉંઘમા પણ દેખાશે જ. કેમકે પેટા ચૂંટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે.