મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં ચોટીલા ખાતે દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને ગોજારો અકસ્માત નડ્યો છે. પગપાળા જતાં પરિવારને પાછળથી અજાણ્યા વાહને અડફેટે લેતા જે એક વર્ષની દીકરીની માનતા હતી તે અને તેના કાકાનાં કરૂણ મોત થયા છે. 

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવારના 4 સભ્યો ગઇકાલે સાંજના સમયે 6 વાગ્યા આસપાસ પગપાળા 1 વર્ષની દીકરીની માનતા પૂરી કરવા માટે ચોટીલા જવા નીકળ્યા હતા અને રાત્રિના લગભગ  દોઢ  વાગ્યા આસપાસ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. જેમાં 1 વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેનાં માતા-પિતાને ઇજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. વાહનચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક જ દીકરી હતી અને એ જ દીકરીની માનતા પૂરી કરવા માટે તેઓ ગઇકાલે સાંજે 6 વાગ્યે પગપાળા ચાલીને ચોટીલા જઇ રહ્યા હતા. આ સમયે રાત્રિના 1થી 1.30 વાગ્યા અરસામાં અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારતાં મારી દીકરી અને તેના કાકાના દીકરા ભાઇ રવિનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલાં દીકરીની માતાને અને પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. પરંતુ એકની એક દીકરી છીનવાઇ જતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.