મેરાન્યૂઝ નેટવર્ક અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસે મતગણતરીને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી હતી.હાઇકોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી હાઇકોર્ટે ફગાવી છે. મતગણતરી ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખે જ થશે. મનપાની ચૂંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરીએ થશે. નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે  મતગણતરી  બીજી માર્ચના રોજ થશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે કરવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ ફાઇલ કરવામાં આવી હતી. અરજીમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે તો ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતા પર વિપરિત અસર થશે.

અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી. રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.

અગાઉ આ મામલે સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યુ હતું કે, ગ્રામિણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ છે અને તેથી ગ્રામિણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદારના પ્રશ્નો પણ અલગ અલગ છે. અરજદારોએ પોતાના રાજકીય હેતુ બહાર લાવવા માટે આ અરજી કરી છે. જોકે, આ મુદ્દે વિસ્તૃત સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે.

ગુજરાતના ચૂંટણી પંચે જાહેર કરેલાં કાર્યક્રમ મુજબ 21મી ફેબ્રુઆરીએ મહાનગરપાલિકોની ચૂંટણીનું મતદાન થશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે મતદાન થશે અને બીજી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી રીતે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતો માટે મતદાન થશે તો મતદાન પર વિપરિત અસર થશે. આ કાર્યક્રમના કારણે સ્વતંત્ર ચૂંટણીપ્રક્રિયા નહીં યોજાઇ તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.