મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ દેશની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભામાં સન્માનવાની પરંપરા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ ૨૩ સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભાએ આ પ્રણાલીને અનુસરતા   શ્રેષ્ઠ વિધાનસભ્યના એવોર્ડ આપવાની પ્રથા શરુ કરી છે.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની તા. ૨૮/૨/૨૦ ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. તદનુસાર રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ષ ૨૦૨૦ માટે અને વર્ષ ૨૦૧૯ માટે વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રના ચોથા દિવસે આ બેય સભ્યોને વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ વિધાનગૃહના સભ્યોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


 

 

 

 

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવિન પરંપરા શરૂ કરવા માટે વિધાન સભા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ સમયે કહ્યું કે વિધાનસભા અને લોકસભાએ દેશની લોકશાહીના મૂલ્યોના જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના સવોર્ચ કેન્દ્રો છે તેને  લોકશાહીના મંદિર કહેવાયા છે ત્યારે એ મંદિરમાં બેસનારા સૌનું વર્તન વિચાર વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવા હોય કે એ બધા માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને. વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં શરુ થયેલી આ પ્રણાલી આવનારા દિવસોમાં વધુ ઉજ્જવળ બનશે તેમજ પ્રજાના પ્રતિનિધિઓ માટે એક નવી પરિપાટી ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ પોતાના રાજ્ય સભાના સભ્ય તરીકેના કાર્યકાળનું સ્મરણ કરતાં કહ્યું કે, સારા સાંસદ કે વિધાયક બનવા માટે સારા શ્રોતા અને ગૃહમાં નિયમિત હાજરી, અવલોકન શક્તિ આવશ્યક છે. આવા સભ્ય જ્યારે કોઈ રજૂઆત કરે કે ચર્ચાને અંતે સહભાગી થાય ત્યારે સચોટતા અને બારીકાઇથી રજૂઆત કરતા હોય છે. આ સંદર્ભમાં મુખ્ય મંત્રીએ પ્રજાના સૌ પ્રતિનિધિઓ, ગૃહના સભ્યોને આ માર્ગે અનુસરવા અપીલ પણ કરી હતી. તેમણે આ બેસ્ટ પાર્લામેન્ટરિયન એવોર્ડએ ગુજરાત વિધાનસભાનું અને ઉચ્ચ લોકશાહી મૂલ્યોનું ગૌરવ દેશભરમાં વધારશે એવી શ્રદ્ધા દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી વિજેતા થયેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અગાઉ હાઈકોર્ટે અયોગ્ય ચૂંટણી જાહેર કરતાં તેમના પરસેવા છૂટી ગયા હતા. રિટર્નિંગ ઓફિસર ધવલ જાની પર કાર્યવાહી કરવાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. મંત્રી અહીં 327 મતોથી બેઠક અંકે કરી ગયા હતા પરંતુ વિપક્ષના અશ્વિન રાઠોડએ મતગણનામાં ગોટાળા અંગે હાઈકોર્ટના દ્વાર ખટખટાવાયા હતા. હાઈકોર્ટના આ ઓર્ડરને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. મતગણતરીમાં થયેલી ગોલમાલના આક્ષેપ સાથેની આ બાબત છેલ્લા ત્રણ જેટલા વર્ષથી કોર્ટમાં છે. હવે બહુ ઓછા વર્ષ બાકી છે તેમની પાંચ વર્ષની ટર્મ પુરી થવામાં.