મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ લોકોએ ભાજપ સરકારને પ્રેમ આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી અને તે હાલની સ્થાનીક સ્વરાજની ચૂંટણીના પરિણામો પરથી સમજી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં બજેટ જાહેર કરાયું. રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે લોકોને વેરાઓમાં રાહતો મળે તેવી આશાઓ હતી જેનું કારણ હાલમાં લાંબા સમયના લોકડાઉન અને ધંધાકીય બોજાઓ હતા. જોકે લોકોની આવક પર પડેલા આ મોટા ફટાકા બાદ પણ સરકારે પોતાની આવક છોડવાની નીતિ રાખી નથી, સરકારે જે વેરા જેમ હતા તેમ જ રાખ્યા છે ન વધાર્યા કે ન ઘટાડ્યા.

ગત બજેટ કરતાં આ વખતે સરકારે 10 હજાર કરોડ રૂપિયા વધુ બજેટ ફાળવ્યું હોવાનું સરકારે કહ્યું હતું. જોકે આ દરમિયાનમાં ખાસ નવી કોઈ મોટી યોજનાઓ કે વેરા મુક્તી જેવી વાત ન્હોતી. જોકે અહીં સરકારે આપને શું શું આપ્યું છે તે બાબતો અંગે જાણકારી આપી છે.


 

 

 

 

 

ખાસ  કરીને સરકારે ગ્રામ ગડહ નિર્માણ, પંચાયત અને ગ્રામ વિકાસ માટે 8 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ઉપરાંત ધોરણ 9થી 10ના વિદ્યાર્થીઓને માટે 549 કરોડની જોગવાઈ કરી છે. વૃદ્ધ નિરાધાર પેન્શન ધારકોને 10.95 લાખ રૂપિયા પેન્શન આપવા માટે 1032 કરોડ રૂપિયા સરકાર ખર્ચવાની છે. ગુજરાતમાં ઓનલાઈન સેવાઓ, ડેટા રિકવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ રૂપિયા ફાળવ્યા છે જોકે તેમાં કઈ રીતે કાર્યો થશે તેની જાણકારી વધુ મળી શકી નથી.

ઈલેક્ટ્રીક રિક્ષાને વેગ આપવા માટે રૂ. 40 હજારની સબસીડી આપવાનું નક્કી કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ 143 કિલોમીટરની બલ્ક લાઈન પાઈપ લાઈન નાખવામાં આવશે પીવાના પાણી માટે અહીં કુલ 675 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજકોટમાં પીપીપી ધોરણે નવું બસ સ્ટેન્ડ અને છ નવા બસ સ્ટેન બીજા અન્ય સ્થળો પર બનાવવા માટે 100 કરોડ રૂપિયા જેવી જંગી રકમનો ખર્ચ કરવામાં આવશે. 

આ ઉપરાંત અમદાવાદમાં 87 કરોડના ખર્ચ સાથે સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે. ગુજરાતમાં ઐતિહાસિક શાળાઓને હેરિટેજ શાળાઓ જાહેર કરવામાં આવશે. બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે. નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચથી જેટ્ટી બનાવશે. સાથે જ નારગોલ અને ભાવનગર બંદર પર 4800 કરોડના ખર્ચે બંદરોનો વિકાસ કરવામાં આવશે. સિરામીક હબ એવા મોરબી, હળવદ, જેતપુર, અણીયાળી અને ઘાટીલા 70 કિમીનો રસ્તો ફોર લેન કરવામાં આવશે અને ગુજરાતમાં બે મેગા ટેક્સટાઈલ પાર્ક, બલ્ક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જંબુસર ખાતે અને રાજકોટમાં મેડિકલ ડિવાઈ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરવામાં આવેશે. યુનીવર્સિટીમાં રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


 

 

 

 

 

કેવડિયાની આસપાસના 50 કિલોમીટરમાં ડ્રેગન ફ્રુટ (કમલમ ફ્રુટ)ના 2 લાખ વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ છે તથા ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. 2021-22નું 587 કરોડની પુરાંત વાળું આ બજેટ છે. ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ તથા ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ છે. વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના શરૂ કરવાનું સરકારનું પ્લાનીંગ છે. અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે. નીતિન પટેલે કહ્યું કે, કોરોનાના કારણે સરકારની આવક 40 ટકા ઘટી છે. ધંધાકીય વિકાસ માટે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ, ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી, ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય, સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ અને આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ કરાઈ છે. ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે. ઉપરાંત શિક્ષણ માટે 32000 કરોડની જંગી રકમની જોગવાઈ કરવામાં આવી છે.