પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મેં ગુજરાતમાં એવા અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારી જોયા છે જેમની આખી કેરિયર દરમિયાન તમે કયાંય હાથ મુકો તેવી એક પણ ઘટના ના હોય છતાં તેમના વ્યવહારમાં ભારોભાર અભિમાન છલકતું મેં જોયું છે. તેમના અભિમાનું કારણ તેમની પ્રમાણિકતા, તેમનું બુધ્ધી કૌશલ્ય, તેમનું પદ, સતત કામ કરવાની ધગશ વગેરે વગેરે આપણે સારા અને આપણા ભાગે આવેલું કામ પ્રમાણિકપણે કરવું તે સુર્ય ઉગે છે અને આથમે છે એટલી જ સહજ છે. તેમાં કોઈ રોકેટ સાયન્સ નથી, છતાં મોટા ભાગના સારા અને પ્રમાણિક માણસો જાણે સમાજ ઉપર ઉપકાર કરી રહ્યા હોય તેવો ભાર તેઓ પોતાના માથે લઈ ફરે છે. તેમના કપાળની રેખાઓ સતત તંગ રહે છે.

કોઈ પોતાને સારો અને પ્રમાણિક સમજે તેમાં કઈ વાંધો નથી આપણે કેવા છીએ તેનું ભાન હોવું પણ એટલું જ જરૂરી છે પણ આ પ્રકારના લોકો સામેની વ્યકિતને અપ્રમાણિક સમજે છે. તેઓ માને છે ઈશ્વરે પ્રમાણિકતાના નામે માત્ર એક પીસ બનાવ્યો છે અને તે પોતે જ એકલા પ્રમાણિક છે, બાકી આખી દુનિયા અપ્રમાણિક છે, તેના કારણે તેઓ જ્યારે અન્ય કોઈ વ્યકિત સાથે વાત અને વ્યવહાર કરે ત્યારે સૌથી પહેલા તેમના મનમાં સામેની વ્યકિત માટે ભારોભાર શંકા અને શબ્દોમાં ખારાશ હોય છે, આવું માત્ર ઉચ્ચ પદ ઉપર બેઠેલા સરકારી અધિકારીઓ જ કરે છે તેવું નથી, મેં અનેક ગાંધીવાદીઓની આ પ્રકારની બીમારીથી પીડાતા જોયા છે.

ગાંધીવાદીઓ પોતાની ગાંધીયન ઓળખ જાળવી રાખવા માટે ખાદી તો પહેરે છે, પણ તેઓ ખાદી પહેરનાર રાજકારણીઓને ધીક્કારતા હોય છે, જો તમે ગાંધીને અનુસરતા હોવ તો ગાંધીના શબ્દકોશમાં ધીક્કાર શબ્દ જ ન્હોતો, ગાંધી તો અંગ્રેજોને પણ ધીક્કારતા ન્હોતા, ગાંધી અંગ્રેજોના શાસનમાંથી મુકત થવાની વાત કરતા હતા પણ તેઓ કહેતા કે અંગ્રેજો ભારત છોડે ત્યારે તેઓ કડવાશ સાથે ભારત છોડે નહીં આમ ગાંધીના શબ્દ અને વ્યવહારમાં કયારેય ધીક્કાર ન્હોતો, પણ મેં અનેક ગાંધીયન જોયા છે, જેઓ બીજા માટે મનમાં હિનભાવ રાખે છે કારણ તેઓ ગાંધીને અનુસરતા નથી.

ગાંધીના રસ્તે આગળ ચલાવાનો નિર્ણય આપણો પોતાનો હતો કોઈએ પરાણે તે રસ્તે જવાનું કહ્યું નથી, એટલે મન ઉપર સતત તેનો ભાર રહે તો સમજવું કે ગાંધીને આપણે પચાવી શકયા નથી, કારણ ગાંધી કોઈ બાબત પરાણે કરતા ન્હોતા, જો ગાંધીના રસ્તે જવું બોજ લાગતું હોય તે રસ્તો છોડી દેવો જોઈએ, મેં ખાદી નહીં પહેરનાર અનેક યુવાનોમાં ગાંધીને જીવતા જોયા છે  કારણ પહેલા તો તેઓ જેવા છે તેવા જ દેખાય છે, તેઓ લોકો શું માનશે તેવી પરવા કર્યા વગર પોતાને જે પસંદ છે તે રસ્તો ચાલે છે. તેમના મનમાં દુનિયા બદલવાનો કોઈ ખ્યાલ નથી, પણ તેમના જીવનની નાની નાની ઘટનાઓમાં તેઓ પોતાની માટે અને બીજાના માટે જીવે છે તેનો તેમને અણસાર સુધ્ધા નથી.

આપણે સારો માણસ થવાનો રોજ પ્રયત્ન કરવો જોઈએ, સારા થવાના પ્રયાસમાં ભુલ પણ થવાની છે તેવી જ ભુલ પણ આપણી આસપાસના લોકો કરવાના છે તેના કારણે આપણો અને તેમનો સંબંધ પુરો થઈ જતો નથી, આપણને જે રસ્તો સારો લાગે છે કે સંભવ છે કે તે રસ્તા વિશે તેમની પાસે માહિતી જ નથી, બની શકે કે માહિતી છે છતાં તેમને તે રસ્તે ચાલવું નથી, તેનો અર્થ એવો નથી કે આપણે મહામાનવ અને તેઓ દાનવ છે, સારા ડૉકટર, સારા પત્રકાર, સારા વકિલ, સારા રાજનેતા, સારા શિક્ષક, સારા ક્રિકેટર અને સારા માતા પિતા થવું તે સારી બાબત છે પણ તેનો ભાર અને અભિમાન આપણા અને આપણા લોકો માટે ધાતક સાબીત થાય છે.