દિવ્યકાંત ભટ્ટ (એટલાન્ટા. અમેરિકા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે નવા વર્ષ નિમિત્તે શનિવારે ભાઈબીજ પર્વે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. કડકડતી ઠંડી હોવા છતાં 151 અવનવી મીઠાઇ-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે 2500 જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 8 વાગે ભવ્ય આતશબાજી સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું. અન્નકૂટ મહોત્ત્સવમાં અતિથિ વિશેષ તરીકે સુવાની સિટી કાઉન્સિલના મેયર પ્રો-ટેમ લિનિયા મિલર અને સુવાની સિટીના પોલીસ વડા ચીફ કાસ મૂની ઉપસ્થિત રહેતાં તેમનું સન્માન કરાયું હતું. આ બંને અતિથિઓએ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાની પ્રશંસા કરી હતી.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે શનિવારે ભાઇબીજ પર્વે ગોવર્ધનનાથજી અને કલ્યાણરાયજીના સાંનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું. શનિવારે સવારે 10 થી 11.30 સુધી ગોકુલધામ હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. ગોવર્ધન પૂજાના મનોરથી હેતલ અને અર્ચના શાહ સહિત વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ આ પૂજાનો લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી.

Advertisement


 

 

 

 

 

ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામ હવેલીના મુખ્યાજી નરપત મહારાજ દ્વારા તૈયાર કરાયેલી 108 જેટલી અવનવી મીઠાઇઓ, વાનગીઓ અને વિવિધ પકવાન મળી 151 સામગ્રી-વાનગીઓ સાથેના આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીને કારણે જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટના નિયમોનું પાલન કરીને યોજાયેલા આ અન્નકૂટ મહોત્સવ વેળા માસ્ક પહેરીને તેમજ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ ઠાકોરજી તેમજ અન્નકૂટના દર્શન કર્યા હતા. અન્નકૂટ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી વાન્ટેજના જય પારેખ, ડૉ. મુકુંદ અને મૃદુલા રાજા, સ્વ. દિલીપભાઇ તેમજ સરોજબહેન પટેલ, સ્વ. વિપિનભાઇ અને મનોરમાબહેન મજમુદાર સહિત 25 મનોરથીઓનું ઠાકોરજી સન્મુખ સન્માન કરાયું હતું. અન્નકૂટ મહોત્સવ સાથે આયોજિત નિ:શુલ્ક મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓએ ગોકુલધામ હવેલીના સ્વયંસેવક ભાઇઓ-બહેનો દ્વારા આ મહોત્સવ વેળા કરાયેલી કાબિલેદાદ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

Advertisement


 

 

 

 

 

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટ્રેજરર કિન્તુ શાહ, જીગર શાહ, ટીમના સભ્યો હેતલ શાહ, પરિમલ પટેલ, સમીર શાહ, અલકેશ શાહ, દીપ ઠાકર, કેતુલ ઠાકર, હિતેષ પંડિત, ભાવેશ સુરેજા, મિલન ભૂત, આત્મય તલાટી અને આર્ષ તલાટી, કરણ શાહ, આકાશ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, ઉદય દેસાઇ તેમજ મહાપ્રસાદ સેવામાં મનુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, સોહિનીબહેન, પ્રકાશ પટેલ, અશ્વિન પટેલ, ગિરિશ શાહ, નિકશન પટેલ, કિરીટ શાહ, અતુલ શાહે જહેમત ઉઠાવી હતી. ગોકુલધામ સજાવટ ટીમની બહેનોએ દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને અન્નકૂટના પ્રસાદના વિતરણની ઉત્કૃષ્ઠ સેવા બજાવી હતી.

અન્નકૂટ અને મહાપ્રસાદ બાદ રાત્રે 8 વાગે ગોકુલધામના પ્રાંગણમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. 15 મિનિટ સુધી યોજાયેલી ફટાકડાની ભવ્ય આતશબાજી નિહાળી દર્શનાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આતશબાજી સાથે અન્નકૂટ મહોત્ત્સવનું સમાપન થયું હતું.