તુષાર બસિયા (મેરાન્યૂઝ અમદાવાદ): 19 માર્ચના રોજ હોંશે હોંશે જનતા ક્ફર્યુથી શરૂ થયેલી કોરોના (corona) સામેની લડાઇ દેશને કંટાળાજનક લૉકડાઉન સુધી તાણી લાવી. લૉકડાઉનના પ્રથમ તબક્કે પરીસ્થિતી કાબુમાં નહીં આવતા કેન્દ્ર સરકારે લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ કર્યો છે. પરંતુ લૉકડાઉન (Lockdown)નો બીજો તબક્કો હજુ ખતમ થયો નથી ત્યાં કેન્દ્ર સરકારે દુકાનો ખોલવાની મંજૂરી આપવા લાગી અને નીયમો હળવા કરવા લાગી છે. એ જ પ્રકારે ગુજરાત સરકારે પણ કેન્દ્રની આ નીતિ અખત્યાર કરી અને દુકાનો ખોલવા મંજુરી આપવા હા ભણી દિધી. હવે લૉકડાઉનની લમણાકૂટ પાર પડવાના થોડા દિવસો પહેલા સરકાર આવા પગલા કેમ ભરે છે, શું સરકારના વિચારો ‘હર્ડ ઇમ્યુનીટી’ (Herd immunity) તરફ ગતી કરે છે ?
પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંદેશમાં લૉકડાઉનના મહત્વ પરથી જાણી શકાય છે કે કેન્દ્ર સરકારે શરુઆતથી જ લૉકડાઉનને કોરોના સામે લડવાનું મુખ્ય શસ્ત્ર માની લીધુ હતું. આગામી પગલા તરીકે પણ સરકારે લૉકડાઉનનો જ રસ્તો અખત્યાર કર્યો અને કોરોનાની ગતિ મંદ પાડવા મથામણ કરી હતી. ફરી એક બીજુ લૉકડાઉન પણ ખતમ થવાના આરે છે છતા કોરોનાના કેસની સંખ્યા ઉધર્વગતિ કરી રહ્યાં છે. આ તબક્કે સ્વાભાવિક પણે સરકાર પણ દબાણમાં કામ કરે છે. એક તરફ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે તો બીજી તરફ લૉકડાઉન પુરુ થયાં પછી શું એ જટીલ પ્રશ્ન સરકારના દરવાજે ઊભો છે. સરકારનો દાવો છે કે પરિસ્થિતી કાબુમાં છે, સ્વાસ્થ્ય સંબંધીત તમામ તૈયારી પુર્ણ છે પણ એ દાવાની પોલ દેશના ઘણાં શહેરોમાં મીડિયા મારફતે ખુલી ગઇ છે.
આ પરિસ્થીતિમાં કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં પણ દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવા કહ્યું છે. આમ પણ લાંબાગાળા માટે ચુસ્ત લૉકડાઉન ભારત માટે સંભવ પણ નથી જણાતું. રાજ્ય સરકારે પણ આ નીર્ણય પર અમલવારી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સરકારના પ્રકારના નિર્ણયે એક નવી ચર્ચાને જન્મ આપી દીધો છે કે શું ભારતમાં હર્ડ ઇમ્યુનીટીની તૈયારી છે ?
શું છે હર્ડ ઇમ્યુનીટી થીયરી ?
વાયરસગ્રસ્ત દર્દીની સંખ્યા કાબુમાં રાખતા વાયરસને ફેલાવા દેવો અને એક નિશ્ચીત આંકડા સુધી વાયરસ ફેલાવા દેવો. આમ કરતા કરતા લગભગ દેશની મોટી આબાદી વાયરસગ્રસ્ત બની જાય. આ દરમ્યાન મોટાભાગના સ્વસ્થ અને યુવાન વર્ગની રોગ પ્રતિકારક ક્ષમતા (ઇમ્યુનીટી) સારી હોવાથી વાયરસ સામે લડીને હરાવી દેવામાં સફળ થાય અથવા સામાન્ય લક્ષણો દેખાઇ જેમાં દર્દી સામાન્ય ઇલાજથી સાજા થઇ જાય. એ પ્રકારે વૃધ્ધ અને ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો અથવા બીજા કોઇ રોગોથી પહેલાથી જ પિડાતા હોય તેવા લોકો સઘન સારવાર મેળવી સાજા થવા પ્રયત્નો કરે. આમ કરી જે મોટાભાગના લોકો ચેપ લાગવા છતા સારવાર વિના સાજા થયા તે અને સામાન્ય સારવારથી સાજા થયા તેનું શરીર વાયરસ સામે ઇમ્યુન બની જાય. સરળ ભાષામાં કહીએ તો તેના શરીરને એક હદ સુધી એ વાયરસ સામે લડવામાં મહારત હાંસલ થઇ જાય છે. આમ મોટી સંખ્યામાં ઇમ્યુન લોકો હોવાથી વાયરસ ફેલાવાની સંખ્યામાં ઘટાડો થાય.
વિશ્વમાં સૌ પ્રથમ બ્રીટનમાં શરુઆતથી જ આ પ્રકારે હર્ડ ઇમ્યુનીટી થીયરીથી કોરોના સામે લડવાનું નક્કી કરવામાં આવ્યું છે. બ્રીટને કોરોના સામે લડવા હર્ડ ઇમ્યુનનો માર્ગ અપનાવી લૉકડાઉનનો વિકલ્પના પસંદ કર્યો. સૌ કોઇ એ જોયું કે હાલ બ્રીટનમાં કોરોનાના કારણે મૃત્યુ આંક ખુબ જ મોટો છે.