મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિને પગલે આજે સવારે મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં લાદવામાં આવેલા રાત્રી કરફ્યૂ ઉપરાંત ગુજરાતના ઘણા અન્ય સ્થાનો પર કોરોનાની સ્થિતિને લઈને કેટલીક બાબતો પર મહત્વના નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ 20 શહેરો ઉપરાંત હિંમતનગર, નવસારી, પાલનપુર, પોરબંદર, વલસાડ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથ અને બોટાદને ઉમેરી કુલ 29 શહેરોમાં હવેથી રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.
સરકાર દ્વારા કઈ કઈ બાબતો પર નિયંત્રણો મુકાયા
- આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ (પાર્સલ સેવા) ચાલુ રાખી શકાશે.
- રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
- તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
- અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળો, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
- 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
- તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
- સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
- સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
- સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.
- આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે, પણ SOPનું ચુસ્ત પાલન કરવાનું.
- આ નિયંત્રણ તા. 28મી એપ્રિલ-2021બુધવારથી તા. 05મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.