મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુખ્યમંત્રીની સુરક્ષા કરતાં કમાન્ડોએ પોતાની આર્થિક સ્થિતિથી કંટાળીને આખરે પોતાને જ ગોળી મારી દઈને આપઘાત કરી લીધો છે. ગાંધીનગર સલામતી શાખામાં ફરજ બજાવતા અને હાલ સીએમ સિક્યુરિટી તરીકેના કમાન્ડોએ આજે બપોરે ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સરકારી ક્વાટરની અવાવરુ જગ્યાએ જઈને પોતાને જ ગોળી મારી દીધી અને આત્મહત્યા કરી લીધી છે. એવી માહિતી મળી રહી છે કે તે ઘણા લાંબા સમયથી અંજલી રૂપાણીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા.
સીએમ સિક્યુરિટી તરીકે કામ કરતાં સાતાભાઇ તેજાભાઇ ચૌહાણની ઉંમર 53 વર્ષની હતી. મુળ ભાવનગર નજીકના રામધરી ગામના વતની સતાભાઈ છેલ્લા ઘણા સમયથી સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ સીએમ સિક્યુરીટીમાં કમાન્ડો હતા. આજે બપોરે તેમનો મૃતદેહ અક્ષરધામ પાસે જ રોડ પર સેક્ટર-૩૦ના સરકારી અવાવરૂ ક્વાર્ટર પાસેથી મળ્યો હતો. નજીકમાં એક પિસ્તોલ પણ મળી હતી. આ પિસ્તોલથી છોડેલી ગોળીથી જ તેઓનું મોત નિપજ્યુ હતું. પ્રારંભીક તપાસમાં સાતાભાઇએ સરકારી પિસ્તોલમાંથી પોતે જ ગોળી છોડીને આપઘાત કરી લીધો હોવાનું જણાયું હતું. સાતાભાઇએ પોતાની જાતેજ છાતીમાં ગોળી ધરબી દીધી હતી.
સતાભાઈએ જ્યાં આપઘાત કર્યો તે સ્થળ પરથી એક કાર પણ મળી આવી હતી. આ કાર પણ સાતાભાઇની હોવાનું સામે આવ્યું છે. આજે બપોરે ૧૨ કલાક આસપાસ તેઓ આ કાર લઇને અહીં આવ્યા હતા અને ત્યાં પોતે પોતાની સરકારી પિસ્તોલમાંથી ગોળી મારીને આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે કારણ કે પોલીસને તેમની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્યુસાઇડ નોટમાં સાતાભાઇએ આર્થિક ભીંસને કારણે પોતે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઇડ નોટ સાતાભાઇના હસ્તે જ લખાઇ હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોટમાં તેઓએ છેલ્લા છ માસથી ટેન્શનમાં હોવાનું અને આર્થિક સંકડામણથી વ્યવહાર બંધ થઇ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલ ગમે ત્યાં વિકાસની વાત કરો પણ મોટી સંખ્યાના લોકોની હાલત તો કફોડી છે. ખુદ સીએમ સિક્યુરિટીના કમાન્ડો કે જે મોત સામે પણ હાર ન માનીને અન્યને સુરક્ષા આપવાની ટ્રેનિંગ ધરાવતો હોય તેવા કમાન્ડોને પણ આર્થિક મુશ્કેલીએ પુરો કરી નાખ્યો તે બાબત ખરેખર વિચાર માંગી લેનારી છે. સાતાભાઇ સાથે ફરજ બજાવતા કમાન્ડોનું કહેવું છે કે, સાતાભાઇ પણ કોઇપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવાનું કઠણ કાળજુ ધરાવતા હતા, પરંતુ આર્થિક સંકડામણે તેઓને માનસિક થકવી દીધા હતા. સ્યુસાઇડ નોટમાં પણ તેઓએ આ બાબતનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.