મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વર્ષ 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 150 મતે જીત્યા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી કે પોસ્ટલ બેલેટમાં ગડબડ કરી ભુપેન્દ્રસિંહને જીતેલા જાહેર કર્યા છે, તેથી તેમની ચૂંટણી રદ કરી દેવામાં આવે. ભુપેન્દ્રસિંહ સામે થયેલી પિટિશન અરજી ફગાવી દેવામાં આવે તેવી માગણી  કરતી અરજી ભુપેન્દ્રસિંહ દ્વાર થઈ હતી. જે હાઈકોર્ટે આજે સુનાવણી બાદ ફગાવી દેતા હવે ચૂંટણી રદ કરવાની અરજી ઉપર સુનાવણી આગળ વધશે.

2017માં ધોળકા બેઠક ઉપરથી કોંગ્રેસની ટિકિટ લડેલા અશ્વીન રાઠોડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી દાદ માંગી હતી કે EVM મશીનમાં મળેલા મતને કારણે તેઓ ચૂંટણી જીતી રહ્યા હતા. પરંતુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જીતેલા જાહેર કરવા માટે પંચ દ્વારા પોસ્ટ બેલેટની ગણતરીમાં ગડબડ કરી હતી. જેના કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા 150 મતે જીતેલા જાહેર કર્યા હતા. અશ્ચિન રાઠોડની અરજી સાંભળવી ન જોઈએ તેની દાદ ભુપેન્દ્રસિંહ દ્વારા માંગવામાં આવી હતી. તેમનો દાવો હતો કે એક વખત ચૂંટણી પંચ દ્વારા પરિણામ જાહેર કરી દીધા બાદ હાઈકોર્ટ દ્વારા તેમાં દરમિયાનગીરી કરવી જોઈએ નહીં.

હાઈકોર્ટ દ્વારા બંને પક્ષોની દલિલ અને ચૂંટણી પંચને સાંભળ્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અરજી ફગાવી દીધી હતી. હવે હાઈકોર્ટ ચૂંટણી કેમ રદ કરવી નહીં તે મુદ્દે અશ્ચિન રાઠોડની અરજીની સુનાવણી હાથ ધરશે.