મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં દાખલો બેસાડી રહ્યા છે તેમ છતાં બે નંબરી આવકમાં મદમસ્ત બનેલા જીલ્લાના કેટલાક ભ્રષ્ટ પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ નોકરીના ભોગે પણ ભાઈબંધી નીભાવી રહ્યા છે. એસપી સંજય ખરાતે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રાયચંદ રત્નાભાઇને થોડા સમય અગાઉ પોલીસ કસ્ટડીમાં રહેલો નામચીન બુટલેગર ફરાર થઇ જવાના કેસમાં સસ્પેન્ડ કરી દીધા હતા તેમજ જીગ્નેશ બચુ ભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલે બુટલેગર સાથે ભાઈબંધી નિભાવતો હોય તેમ બુટલેગર સાથે અંગત અદાવત રાખનાર વ્યક્તિને ભિલોડા બજારમાંથી ઉઠાવી જઈ જેશીંગપુરમાં ઢોર માર મારવાના કેસમાં તેમજ એએસઆઈ શંકરભાઇ સોમાભાઈને ફરિયાદમાં જીજ્ઞેશ બચુભાઈ નામના પોલીસકર્મીને બચાવવા બેદરકારી ભરી તપાસ કરતાં સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે એસપીના આદેશના પગલે પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જીજ્ઞેશ બચુ ભાઈ નામનો પોલીસકર્મી સ્થાનીક બુટલેગરો સાથે ભાઈબંધી રાખતો હોવાની સાથે ભિલોડાના લીસ્ટેડ બુટલેગર નોરનીસે ભિલોડા બજારમાંથી અંગત અદાવતમાં એક વ્યક્તીને ઉઠાવી લઈ જેશીંગપુર ગામમાં લઇ જઈ તેના મળતીયાઓ સાથે ઢોર માર મારી અધમુવો કરી નાખ્યો હતો. જેમાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડકોન્સ્ટેબલ જીજ્ઞેશ બચુભાઈની સંડોવણી હોવા છતાં તેને છાવરતા હોય તેમ આ કેસની તપાસ કરી રહેલા એએસઆઈ શંકરભાઈ બચુભાઈની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા હતા. આ અંગે એસપી સંજય ખરાતને જાણ થતા સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી ભરત બસીયાને સોંપતા પોલીસકર્મી જીજ્ઞેશ બચુભાઈ નોરીનીસ નામના બુટલેગર સાથે ભાઈબંધી નિભાવી હોવાની સાથે કેસની તપાસ કરી રહેલા એએસઆઈ શંકરભાઇ બચુભાઈ બેદરકારી દાખવી પોલીસકર્મીને બચાવવા કામગીરી કરી રહ્યા હોવાનું જણાતા આ અંગે એસપીને રિપોર્ટ સુપ્રત કરતા એસપી સંજય ખરાતે બંનેને સસ્પેન્ડ કરી દેતા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.
જીલ્લામાં ખાખીને કલંકીત કરી વિદેશી દારૂના નફામાં થતા બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોય છે પોલીસકર્મીઓ જ બુટલેગર બની કાયદાના સંકંજામાં લપેટાયા છે અને સસ્પેન્ડ થયા છે ત્યારે ભિલોડા પોલીસે ઝડપેલા ત્રણ જીલ્લાના લીસ્ટેડ બુટલેગર સંદિપકુમાર ઉર્ફે મોન્ટૂ મોહનભાઈ ચાવડા(રહે,ભાટ,ગાંધીનગર ) ઝડપાયાના ગણતરીના કલાકોમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી પોલીસ સ્ટેશન બહાર ઉભેલી કારમાં નાસી જતાં પંથકમાં ચકચાર મચી હતી સમગ્ર પ્રકરણને મામલે એસપી સંજય ખરાતે બુટલેગર કસ્ટડીમાંથી ભાગી જવામાં એએસઆઈ રાયચંદભાઈ રત્નાભાઇ ની બેદરકારી જણાઈ આવતા સસ્પેન્ડ કરી દીધા છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
બે એએસઆઈ અને એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.