મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ બનાસકાંઠાના દેથળી ગામ પાસે ચાર યુવતીઓએ સામુહીક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે આસપાસના સ્થાનીકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત પ્રમાણે બાબત એવી બની છે કે, બનાસકાંઠા વાવ તાલુકાના દેથળી ગામ પાસે એક સાથે ચાર યુવતીઓએ કેનાલમાં કુદી જઈને આપઘાત કરી લીધો છે. મૃતક યુવતિઓ પૈકીની એક યુવતી અપરણિત છે જ્યારે અન્ય ત્રણ યુવતીઓ પરણિત છે. કેનાલની પાસેથી તેમના ચપ્પલ અને એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં બે યુવતીઓએ લખ્યું છે કે, બિમારીના કારણે આત્મહત્યા કરીએ છીએ. જ્યારે બે યુવતીઓએ તેમની બહેનપણીના વિરહમાં આપઘાત કર્યો છે.

યુવતીઓના મિત્રતાને કારણે લેવાયેલા આપઘાતના પગલાને કારણે ભારે હડકંપ મચી ગયો છે. ચારેય યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે પણ ઘટના સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે કે જેથી મૃતકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી શકાય. બનાવને પગલે સ્થાનીકોનું પણ મોટું ટોળું ઉમટી પડ્યું છે.