મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સામાન્ય રીતે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકનું વજન 2 થી અઢી કીલો હોવું જોઈએ. પરંતુ જો નીયત સમય પહેલા બાળકનો જન્મ થાય તો તેના સ્વાસ્થને નુકશાન થઈ શકે છે. અમદાવાદમાં આવેલી જીસીએસ હોસ્પીલમાં ડૉક્ટર્સ દ્વારા માત્ર છ માસમાં જન્મેલી બાળકીને સારવાર આપીને તેને નવજીવન આપવઆમાં આવ્યુ છે. સામાન્ય રીતે આ પ્રકારે અધુરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે પરંતુ ડોક્ટર્સના પ્રયાસના કારણે આ બાળકીનો જીવ બચાવી શકાયો.
તાજેતરમાં જીસીએસ હોસ્પિટલમાં ફક્ત 750 ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલી બાળકીની 65 દિવસ સારવાર બાદ તેને સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. માતા સોનલબેન કોરટ 26 અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હતા. છઠ્ઠા મહિને ગર્ભાશયની કોથળી ફાટી જતા સિઝેરિઅન ડિલિવરી માટે તેઓ જીસીએસ હોસ્પિટલમાં 9 સપ્ટેમ્બરના રોજ દાખલ થયા હતા, જ્યાં સોનલબેને ફક્ત 750 ગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો.
અધુરા માસે જન્મેલ હોવાના કારણે ડોક્ટર્સ સાથે માતા-પિતા પણ આ બાબતની ગંભીરતા સમજતા હતા. જીસીએસ હોસ્પિટલના ડો. હર્ષ મોડ (આસિસ્ટન્ટ પ્રોફેસર - પિડીયાટ્રીક્સ), પિડીયાટ્રીક્સ વિભાગના રેસિડેન્ટ્સ અને એન.આઈ.સી.યુ. વિભાગએ કુદરતના આ પડકારને પહોંચી વળવા મહેનત શરૂ કરી હતી અને કાળજી રાખીને તેને સારવાર આપી હતી.
Advertisement
 
 
 
 
 
આ બાળકી 28 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 65 દિવસ સુધી રહી હતી અને તેને નવજીવન મળ્યું છે. બાળક આવી પરિસ્થિતિમાં હોય ત્યારે માતાપિતા પણ ખુબ ચિંતામાં આવી જાય પરંતુ જીસીએસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને પણ સહાનુભૂતિ આપી અને બાળકીના સ્વાસ્થ્યમાં નિયમિત સુધારો કરીને મદદરૂપ થયા હતા.
બાળકીને શરૂઆતમાં નાકની નળી દ્વારા માતાનું દૂધ આપવામાં આવ્યું અને પછી ધીમે ધીમે ચમચી અને પછી સ્તનપાન ચાલુ કર્યું. ઓછા વજનવાળા બાળકોમાં "કાંગારું મધર કેર " ખુબ અસરકારક છે તેથી 21માં દિવસે જ બાળકીને માતા દ્વારા કાંગારું મધર કેર શરુ કરી દેવામાં આવી હતી. 65 દિવસની ડોક્ટર, નર્સ તથા બીજા સ્ટાફની આકરી મેહનત પછી નાનકડી બાળકીનું વજન 1 કિલો 410 ગ્રામ વજન જેટલું એટલે કે બાળકીના જન્મ સમય કરતા બે ગણું થયું હતું અને તેને પગલે તેને હોસ્પિટલમાંથી 16 નવેમ્બરના રોજ રજા આપવામાં આવી હતી.