મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં થંભી ગયેલા અકસ્માતની ઘટનાઓ અનલોક થતાની સાથે વણથંભી વણજાર લાગી હોય તેમ સતત અકસ્માતની નાની-મોટી ઘટનાઓ નોંધાઈ રહી છે. ધનસુરા-હરસોલ રોડ પર નવલપુર નજીક સ્વીફટ કાર ઝાડ સાથે ભટકાતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે શખ્સોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે રવિવારે સવારે માલપુર નજીક આવેલ મોર ડુંગરી પાસે એક્ટિવા લઈ પસાર થતા સગીરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર પટકાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં અને એક્ટિવા પાછળ બેઠેલ યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અક્સ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો. સગીરનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. 

રવિવારે સવારે, માલપુર તાલુકાના માલજીના પહાડીયા ગામનો ક્રિશ હસમુખ ભાઈ પટેલ (ઉં.વર્ષ-૧૦) તેના પિતરાઈ ભાઈ ધ્રુમિલ પટેલ સાથે એક્ટિવા લઈ માલપુર કામકાજ અર્થે ગયા હતા માલપુરથી પરત ઘરે ફરી રહ્યા હતા. ત્યારે મોર ડુંગરી ગામ નજીક એક્ટિવા હંકારી રહેલા ક્રિશ પટેલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક્ટિવા ડિવાઈડર સાથે ભટકાતા ક્રિશ પટેલ અને પાછળ બેઠેલ યુવક ધ્રુમીલ રોડ પર પટકાયા હતા. ક્રીશના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ધ્રુમિલના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો.

 

અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલ માલપુર પોલીસે મૃતક સગીરની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અકસ્માતની ઘટનામાં સગીરનું મોત નિપજતા પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા મૃતક સગીર પરિવારનો એકનો એક કૂળદીપક હોવાથી પરિવારજનોએ રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી માલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પીએસઆઈ એન.એમ.સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક અકસ્માતમાં ધનસુરા તાલુકાના નવલપુર નજીક ગત રાત્રી ના ૧૦ વાગ્યાના સુમારે રવિભાઈ રાજુભાઈ યાદવ રહે.નવાવાડજ, મુખીવાસ, અમદાવાદએ પોતાના કાર નં.જીજે. ૧૮ એએફ. ૦૮૭૫ને પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રોંગ સાઈડે જઈ રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાવી દેતા પોતાના માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજયું હતું. જ્યારે રતીકભાઈ કાન્તીભાઈ યાદવ તથા મનીષભાઈ ગટુભાઈ યાદવને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે મનીષ ગટુભાઈ યાદવ રહે. અમદાવાદએ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. ધનસુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પીએસઆઈ પી.ડી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે..