મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. જીલ્લા  પોલીસ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે દોડી રહી છે, ત્યારે અરવલ્લી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પી.આઈ આર.કે.પરમારને બાતમી મળી હતી કે ધનસુરાના પંચકુહાડા ગામના જશું મંગળભાઈ પરમારના ઘરમાં ઈકો કારમાં બહારથી જુગારીઓ લાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પંચકુહાડા ગામે એલસીબીની ટીમે ત્રાટકી જશું પરમારના ઘરેથી જુગાર રમતા અરવલ્લી-સાબરકાંઠાના ૧૭ જુગારીઓને ૫૧ હજારની રોકડ સાથે દબોચી લીધા હતા એલસીબીની રેડથી જુગારીઓના મોતિયા મરી ગયા હતા. ધનસુરા નજીક ધમધમતું  જુગારધામ ઝડપાતા ધનસુરા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.

ધનસુરા પોલીસની આંખ નીચે પાંચ કુહાડા ગામે ઘરમાં બહારથી ઇકો કારમાં જુગારીઓ લાવી જુગાર રમાડતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા ધનસુરા પોલીસને અંધારામાં રાખી એલસીબી પીઆઈ આર.કે. પરમાર તેમની ટીમ સાથે રેડ કરી જશું મંગળભાઈ પરમાર નામના શખ્શના ઘરેથી ૧) રઝાક સાદીકભાઈ પટેલ, ૨) અબ્દુલ ઇસ્માઇલભાઈ પટેલ, ૩) રફીક ઇસ્માઇલભાઈ પટેલ, ૪) સિરાજ ઇશાકભાઈ બાકરોલીયા , ૫) રહીમ ઉર્ફે ભીખાભાઇ અબ્દુલભાઇ બાકરોલીયા (તમામ, રહે  મેઘરજ), ૬) દાઉદ ઉસ્માનભાઈ શેખ, ૭) કાદરમિયા મહેમુદમિયાં શેખ, ૮) હાજીમિયાં ઉસ્માનમીયા શેખ, 9) જાફર અહેમદભાઈ શેખ,10) ગોપાલસિંહ કેશુસિંહ સોલંકી, ૧૧) સંજય હરજીવનદાસ શાહ, (તમામ, રહે. હિંમતનગર) , ૧૨) ચિરાગ ભરતભાઈ દેસાઇ (વાણીયા), ૧૩) ભાગવત ચીમનભાઈ બ્રહ્મભટ્ટ (બંને, રહે પ્રાંતિજ), 14) અમરત બેચરભાઈ પટેલ (રહે, મણીપુરા- વિજાપુર), 15) રાજેશ બચુભાઈ મીર (વિજાપુર), ૧૬) ઇસ્માઇલ યાકુબભાઈ ઇપ્રોલીયા (રહે, મોડાસા) અને દિલાવરખાન અહેમદખાન પઠાણ (રહે, હરસોલ)ને જુગાર રમી અને રમાડતા ઝડપી પાડી જુગારીઓએ દાવ પર લગાવેલા રૂ.૫૧૦૦૦/-તથા મોબાઈલ નંગ-૧૬ કિં.રૂ.૪૧૦૦૦/-, ઈકો કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૩૯૨૦૦૦/- નો મુદ્દમાલ જપ્ત કરી ૧૭ શકુનીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.