મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લીમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જ દારુના વેપલા મામલે એલસીબીનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. આ મામલામાં આરોપી વહીવટદાર જામીન પર બહાર છે ત્યારે તેને જાનથી મારીનાખવાની ધમકી મળ્યાની રજૂઆત રેન્જ આઈજી સમક્ષ થઈ છે.
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ઝડપેલા વિદેશી દારૂનો કારમાં વેપલો કરવા નીકળેલા બે પોલીસકર્મીઓ અને એલસીબી કચેરીમાંથી બારોબારીયું કરેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી હતી. જેમાં એલસીબી પીઆઇ, પોલીસકર્મીઓ અને દારૂ ભરેલી કારનું પેટ્રોલિંગ કરનાર અને વહીવટદાર તરીકે પંકાયેલ શાહરુખ નામના શખ્સ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. એલસીબી દારૂકાંડ પછી જીલ્લા પોલીસવડાએ એલસીબીનું વિસર્જન કરી નાખ્યું હતું અને એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીઓની જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. હાલ શાહરુખ નામના શખ્સે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા છે અને અમદાવાદ પરિવાર સાથે રહે છે. તેને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની રેંજ આઈજીને રૂબરૂ મળી રજૂઆત કરી આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ભારે ચકચાર મચી છે.
Advertisement
 
 
 
 
 
અરવલ્લી જીલ્લાના ભીલોડા, સાઠંબા અને આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ શાહરુખને ફોન અને વોટ્સઅપ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા હોવાની સાથે બીભસ્ત ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા એક કર્મીએ તુજે ગાલી નહીં ગોલી દેની હૈ સહીત અને હાથ લગેગા તો છોડુંગા નહીંની ધમકીઓ આપતા હોવાના આક્ષેપ સાથે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા જીલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
ટાઉન પીઆઇ એન.જી. ગોહિલે જણાવ્યું હતું કે, તેમને ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ શાહરુખ શેખ નામના વ્યક્તિએ અરજી આપી છે. જેની હાલ તપાસ ચાલુ છે નું જણાવ્યું હતું.