મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં સુશાસન સપ્તાહ અંતર્ગત Good Governance ની ઉજવણી સંદર્ભે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સુશાસન દિવસની ઉજવણી કરાશે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મોડાસાના ભામાશા હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના સુશાસન સપ્તાહના પ્રથમ દિવસે Good Governance “વહીવટી સુધારણા દિન” ની ઉજવણી કરાઈ.

આ પ્રસંગે મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપયીનાં જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીએ છેવાડાનાં માણસની પ્રગતિને પ્રાધાન્ય અને સ્વદેશી ઉદ્યોગોને મહત્વ દ્વારા મજબૂત ભારતના નિર્માણની કરેલી વાત સુશાસનનો જ પાયો છે. સુશાસન એટલે એવું રાજ્ય જ્યાં વસતા દરેક નાગરિકને  પૂર્ણ વિકાસની પ્રતીતિ થાય થાય એવું વાતાવરણ મળે.પ્રધાનમંત્રી દ્વારા નીતિ નિયમમાં સુધારો લાવીને છેવાડાના માનવી સુધી સરકારની જન કલ્યાણકારી અને યોજનાકીય સુવિધાઓ પહોંચે તે માટેના કર્યો સિદ્ધ કર્યા છે. રાજ્ય સરકારની સુશાસનની સજ્જતાથી છેવાડાના લોકોને વિકાસના મીઠા ફળ મળી રહ્યા છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનીને દેશના અન્ય રાજ્યોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યું છે.

Advertisement


 

 

 

 

 

તેમણે વધુમાં કહ્યું કે, આપણી સરકાર એ બધા જ સમાજના લોકોનું કલ્યાણ થાય તે માટે કાર્યો કર્યા છે. રાજ્યના લોકો પગભર બને તે માટે મુખ્યમંત્રી વિવિધ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રીએ પ્રજાની સુખાકારીમાં વધે અને તેમણે સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તેની ચિંતા કરી છે. તેમજ ગુજરાતે ‘વાઈબ્રન્ટ સમીટ’નાં માધ્યમથી દુનિયાભરના ઉધોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેરણા આપી જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને અને ગુજરાતના યુવાનોને મળતો રહ્યો છે. પ્રજાની સુખાકારી માટે આવતા દરેક મુદ્દાઓને સરકાર સમક્ષ રજુ કરજો જેનું અમે ઝડપથી નિરાકરણ લાવવા માટે કટીબદ્ધ છીએ.

આ પ્રસંગે જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, આજનો દિવસ એ વહીવટી તંત્ર માટે ખૂબ જ અગત્યનો છે. પ્રજાને સુખાકારી માટે સરકારે સુશાસનના પ્રથમ દિવસે વિવિધ નિર્ણયો કર્યા છે. તમામ લોકો સુધી રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ તેમજ છેવાડાના માનવી સુધી લાભ પહોંચતો કરવો એ આપ સૌની ફરજ બને છે. જિલ્લાની ટીમે કામગીરી કરવાની રહેશે અને આ કામ એ વહીવટી તંત્રનું છે જે આપણી જવાબદારી છે. આપણા જીલ્લાની કામગીરી ખૂબ જ સરસ છે. જેનાથી આપણે સી.એમ.ડેશબોર્ડમાં રાજ્યમાં બીજા નંબર છીએ. આપણે સમયસર કામગીરી કરીએ છીએ જેથી આપણે સારો રેન્ક મેળવી શક્યા છીએ.

Advertisement


 

 

 

 

 

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના રાત્રી સભા યોજવાના નિર્ણયોથી તત્કાલીન લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે છે. જે માટે સરકારની આપણા પર જે અપેક્ષાઓ છે તેના પર ખડેપગે રહીને કામગીરી કરીશું. આપણી ફરજ છે કે સકારાત્મકથી લોકોની ભલાઈ માટે કામ કરવું જોઈએ. તેમજ તમે સૌ સારી કામગીરી કરી રહ્યા છો અને વધારેમાં વધારે સારી કામગીરી કરવા અધિકારી/કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, જિલ્લા પ્રભારી જયાબેન, જિલ્લા નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રયોજના વહીવટદાર એસ.પી.મુનિયા, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દાવેરા, મોડાસા પ્રાંત અધિકારી મીતા ડોડીયા, બાયડ પ્રાંત અધિકારી વિમલ બારોટ તથા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.