મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર:  ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ અક્ષરધામમાં ૨૦૦૨માં થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આતંકવાદને નાથવા માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતી અખત્યાર કરી છે. ત્યારે વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ ગાંધીનગર પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યના જાબાઝ એ.ટી.એસ.ના અધિકારીઓને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અભિનંદન સાથે ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા શુભેચ્છાઓ પાઠવી છે.  

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ ૨૦૦૨માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા. તે સમયે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને સમય સૂચકતાના પરીણામે કેન્દ્રિય સહાય મળી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બચાવ ઓપરેશન હાથ ધરાયું હતું. ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ કહ્યું કે, આ આતંકી હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પુરેપુરો સહયોગ આપીને રસ દાખવ્યો છે. આ સમગ્ર કામગીરી માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. 

મંત્રી જાડેજાએ સમગ્ર કેસની ટૂંકી વિગતો આપતા કહ્યું કે તા. ૨૪.૦૯.૨૦૦૨ ના રોજ સાંજના આશરે ૦૪:૩૦ વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ (એન.એસ.જી) કમાન્ડોને નવી દિલ્હી થી બોલાવાયા હતા. અને એન.એસ.જી દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં બન્ને વ્યક્તિઓના મોત થયા હતા. આ હુમલામાં, એન.એસ.જી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસ.આર.પી.ના જવાનો સહિત કુલ ૩૩ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાનો સહિત લગભગ ૮૬ જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. 

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આ યાસીન બટ્ટ કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના LeT આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeT આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો. યાસીન જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવ્યાં હતાં. અમદાવાદમાં અન્ય LeT આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો. વર્ષ 2003 માં ચાંદખાન પકડાઈ જતાં યાસીને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવીને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ આરોપી હુમલા પછી પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એ.ટી.એસ. આ આરોપીની શોધ-ખોળમાં હતી. આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી, એ.ટી.એસ. અને એસ.ઓ.જી.-અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ ગઈ હતી. જેમાં અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરવામાં આવેલ છે. LeT (લશ્કર-એ-તોયબા) નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજુ કરી દિવસ ૬ ની ટ્રાંઝીટ રીમાન્ડ મેળવી આવતીકાલે હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવશે