પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ પોતાના મૂળ અને ભુતકાળને ભુલતો નથી. તેમને વર્તમાન આનંદદાયક હોય છે, 2004 બેંચના ગુજરાતના આઈપીએસ અધિકારી ગૌતમ પરમારની કથા પણ કઈક આવી છે. દિવાળીના તહેવારો દરમિયાનનો એક વીડિયો અમારી પાસે આવ્યો જેમાં તેઓ અમદાવાદના શાહપુર વિસ્તારની એક પોળમાં જાય છે અને ત્યાં એક ઘરનો દરવાજો ખુલતા જ જે મુસ્લિમ મહિલા સામે હોય છે તેમને ચરણ સ્પર્શ કરે છે. સામાન્ય રીતે પોલીસને જોતા લોકોના મનમાં એક પ્રકારનો ડર હોય છે, પરંતુ તેમને જોતા પોળના સ્ત્રી પુરુષો અને બાળકોના ચહેરા ઉપર આનંદ હતો. તેમને જોતા ઘણા તો અરે ગૌતમ આયા કહી પ્રેમથી તુકારો પણ આપી રહ્યા હતા.

Advertisement


 

 

 

 

 

અમદાવાદના વતની અને શાહપુરના સરકારી દવાખાનામાં તેમને જન્મ થયો તેમનું બાળપણ અને સ્કૂલનું શિક્ષણ અહિયા થયું, શહેરની પોળો ત્યારે પણ સાંકડી હતી, પણ સાંકડી ગલીઓ અને સાંકડા ઘરોમાં મોટા હ્રદયના માણસો રહેતા, એક એવો સમય પણ હતો જ્યારે હિન્દુ મુસ્લિમો સાથે રહેતા હતા તેમના માટે દિવાળી અને ઈદ સરખી હતી. આ પ્રકારના માહોલમાં ઉછેરલા ગૌતમ પરમાર અત્યંત સામાન્ય પરિવારમાં રહેતા, એક નાનકડુ ઘર જ્યાં તેઓ રહેતા હતા, આ જ પોળમાં તેમનો એક મિત્ર શૌકત જેનું પ્રમાણમાં મોટું કહી શકાય તેવું ઘર હતું, ગૌતમ પરમાર અને શૌકત સાથે વાંચતા આજે શૌકત વિદેશમાં ડૉકટર છે.

પથ્થરવાલી મસ્જીદની પોળમાં અત્યંત ગરીબી અને સંઘર્ષમાં જીવ્યા છતાં ગૌતમ પરમારને બીજા કરતા કઈક જુદુ કરવું હતું, 2004માં યુપીએસસી પાસ કરી તેઓ ગુજરાત કેડરના આઈપીએસ બન્યા આજે તેઓ અમદાવાદ સેકટર 2માં અધિક પોલીસ કમિશર તરીકે ફરજ બજાવે છે, મુળ અમદાવાદના હોવાને કારણે અમદાવાદ અને અમદાવાદના મીજાજને બીજા કરતા સારી રીતે સમજે છે, આજે તેમની પાસે બધુ જ છે, છતાં પોતાનું બાળપણ જયા પસાર થયુ તે નાનકડુ ઘર, પેલા હિન્દુ મુસ્લિમ મિત્રો, શાકની લારીવાળી બહેન, પોળના નાકે આવેલી નાની દુકાનના માલિકો ભુલ્યા નથી, બધુ જ હોવા છતાં મન તો પોળની જીંદગીમાં જ રમ્યા કરે છે, દિવાળીના દિવસોમાં ફરી ગૌતમ પરમારને પોતાનું જુનુ ઘર યાદ આવી ગયું એટલે ત્યાંથી પસાર થતી વખતે તેમણે પોતાના કાફલાને રોકયો અને પોળમાં દાખલ થયા

Advertisement


 

 

 

 

 

પથ્થરવાળી મસ્જીદની પોળમાં દાખત થતાં તેમને જોતા બધાના ચહેરા ઉપર એક પ્રકારનો આનંદ હતો, બધાને તેમણે એક પછી એક યાદ કર્યા અને મિત્ર શૌકત વિદેશ રહેતો હોવા છતાં તેમની એકલી રહેતી માતાને મળવા તેમના ઘરે ગયા, દરવાજો ખટખટાવી પહેલા તો પોલીસ સ્ટાઈલમાં કહ્યું શૌકત કહાએ અને શૌકતની માતાએ દરવાજો ખોલતા ગૌતમ પરમાર તેમને પગે લાગ્યા હતા. ગૌતમ પરમારનું બાળપણ અને અભ્યાસનું સ્થળ શૌકતનું ઘર હતું, શૌકતની માતા અને પરિવાર સાથે તેમની અનેક યાદો સંકળાયેલી છે. ગૌતમ પરમાર પગે લાગતા શૌકતની માતાની આંખ સજળ બની હતી. માતાએ કહ્યું, તું આવ્યો છે તો હવે જમીને જજે, આ અંગે ગૌતમ પરમારને પુછતાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ એક સહજ બાબત છે, તેમાં નવું કશું નથી. મારું બાળપણ, મારા મિત્રો અને મારી ગરીબીની યાદ આવે ત્યારે હું અહિયા અચુક આવું છું. મારા બાળકોને પણ ક્યારેક અહિયા લઈ આવું છું. આખી ઘટના શબ્દોમાં સમજવા કરતા તેનો વીડિયો જુઓ.