મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સામાન્ય રીતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ યુવાઓની ઈચ્છા વિદેશમાં જ સ્થાયી થઈને સારી કારકિર્દી ઘડવાની અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવાની હોય છે. પરંતુ હાલ કોરોનાના કપરા કાળમાં વિદેશથી અભ્યાસ કરેલ ભારતીય યુવા તબીબો માતૃભુમિ અને લોકોના સ્વાસ્થ્ય સેવા માટે સ્વેચ્છાએ આગળ આવ્યા છે. અને ફિલિપાઈન્સ, રશિયા તેમજ યુક્રેનમાં અભ્યાસ કર્યા બાદ સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

ફિલિપાઈન્સમાં અભ્યાસ કરીને પરત ફરેલા અને અહીં સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારનો નિર્ણય લેનાર ડો. દ્રષ્ટિ સેતાએ જણાવ્યું હતું કે, કોરોના દર્દી દાખલ થાય અને સ્વસ્થ બનીને ઘર પરત ફરે ત્યાં સુધીના દરેક પાસાઓ પર હોસ્પિટલમાં અનેક જરૂરી કામ કરવાના હોય છે. ત્યારે આવું જ કામ હું અને મારી ટીમના 18 ઈન્ટર્સ ડોકટરો કરી રહ્યા છીએ. જેમાં દર્દીનું લોહી લેવું, કેસ લેવા, કેસની નોંધ કરવી, રીપોર્ટ તૈયાર કરવા, લોહીના સેમ્પલ લેબોરેટરીમાં સમયસર આપવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે.

ઈન્ટર ડોકટરોની ટીમના હેડ તરીકે સહકર્મીઓ વિશે વાત કરતા ડો. દ્રષ્ટિએ જણાવ્યું કે, ૧૮ વ્યક્તિઓની ટીમમાં ફિલિપાઈન્સથી અભ્યાસ કરેલ ડો. મિતલ સંઘાણી, ડો. જલ્પા ડોડીયા અને ડો. હિતેશ પારેખ છે. તો ડો.આશિષ મોઢા અને ડો.પ્રતિક ગણાત્રાએ રશિયા ખાતે તેમજ ડો. ધર્મિષ્ઠા વાઢેરે યુક્રેનથી ડોક્ટર તરીકેનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત ભારતમાં જ અભ્યાસ કરેલા યુવા તબીબ એવા ડો. આયુષ ગઢવી, ડો. સંતોક મુસાર, ડો. મૈત્રી ડઢાણીયા, ડો.મીના મકવાણા, ડો. પ્રતિક્ષા પ્રજાપતિ, ડો. મહેશ ડાભી, ડો. ઋષિત પટેલ, ડો. નિકુંજ પટેલ અને ડો.પુષ્પલતા ઉમર સહિત અમે સૌ ટીમવર્કથી લોકોની સેવા કરીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના નામથી જ લોકોના મનમાં અજ્ઞાત ભય પેદા થતો હોય છે. ત્યારે કોવિડ વોર્ડમાં રહીને સકારાત્મક અભિગમ કેળવીને હસ્તા ચહેરે હું અને મારી ટીમ સાવચેતી અને સંકલન સાથે તબીબ તરીકેની ફરજ નિભાવી રહ્યા છીએ. આ વોર્ડમાં રહીને કામ કરતા હોવાથી માતા-પિતાને અમારી ચિંતા થતી હોય છે. ત્યારે હું એટલું કહું છું કે, અત્યારે દેશ અને દેશવાસીઓને મારી જરૂર છે. ‘‘અભી નહીં તો કભી નહીં’’ ના સંકલ્પ સાથે મનોબળ મજબુત રાખીને સીનિયર ડોકટર્સ અને મેડીકલ સ્ટાફને સહકાર આપી રહ્યા છીએ. આ તકે કોરોનાને હરાવ્યા વિના નહીં જંપવાનો પોતાની ટીમનો નિર્ધાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.