મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ, સુરત, રાજકોટ, બનાસકાંઠા સહિતના ગુજરાતના 33 જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પૂતળું બાળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા સહિતના ઘણા નેતાઓ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. (અહેવાલના અંતમાં વીડિયો પણ દર્શાવ્યો છે)

આપ (આમ આદમી પાર્ટી)ના પ્રદેશ મીડિયા ઈન્ચાર્જ રાજેશ સાનપરાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે હંમેશા કટિબદ્ધ છે. એક તરફ સમગ્ર દેશ પ્રભુ શ્રી રામના શિલાન્યાસના શુભ પ્રસંગમાં લિપ્ત હતા અને બીજી બાજુ ભારતની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર ભારેલ અગ્નિ જેવી પરિસ્થિતિ છે. એક તરફ ચીન સાથેના આપણા રાજદ્વારી અને સેનાકીય સંબંધોમાં ખટાશ છે અને ચીનના ચડાવાથી મગતરાં જેવડા રાષ્ટ્રો પણ ભારતના કાનમાં ગણગણવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

તેમણે કહ્યું કે, ચીનના પાલતુ એવા પાકિસ્તાને તાજેતરમાં એક નાપાક હરકત કરી છે. સીમા ઉપરના બળતા અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાને નવો નકશો બહાર પાડ્યો છે જે અંતર્ગત પાકિસ્તાને સમગ્ર કાશ્મીર સાથે ગુજરાતના કચ્છનો સરહદી પ્રદેશ તેમજ જૂનાગઢ અને માણાવદરને પોતાના પ્રદેશનો હિસ્સો બતાવ્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પાકિસ્તાનની આ નાપાક વૃત્તિનો સખત વિરોધ કર્યો છે. પાર્ટી દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાનના પૂતળા સળગાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ઘણા જિલ્લાઓમાં તે સંપન્ન પણ થઈ ગયો હતો. આપ દ્વારા દરેક જિલ્લાઓમાં કોવીડ 19ની સ્થિતિને ધ્યાને રાખી 25થી 30 સભ્યો જ જઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. જોકે સુરત, બનાસકાંઠા સહિતના ઘણા જિલ્લાઓમાં પાર્ટીના નેતાઓ સહિતના કાર્યકરોને પણ પોલીસે પકડી લીધા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોપાલ ઇટાળીયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ફરીથી પોતાની હલકટ વૃત્તિનો પરિચય આપ્યો છે.

આ તકે પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં ભાજપની સરકાર છે અને તેમાં પણ દેશના પ્રધાનમંત્રી મોદીજી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના હોય અને પાકિસ્તાન આવી નાપાક હરકતો સામે કોઈ કડક પગલાં લેવામાં નથી આવી તે ગુજરાતની જનતા માટે શરમ જનક બાબત છે . આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા માગણી કરે છે  દેશના પ્રધાન મંત્રી મોદીજી આંતરરાષ્ટ્રીય સરહદો બાબતે તાત્કાલિક એક્સન લે.

તેમણે કહ્યું કે, આપ ગુજરાત ઇમરાનખાનનું પૂતળું બાળવાનો કાર્યક્રમ રાખી પાકિસ્તાનને સીધો કડક સંદેશ આપે છે કે ભારતના કોઈ તસુ જમીન પર પાકિસ્તાનની ગંદી નજર પડી તો આ દેશનો પ્રત્યેક ક્યારેય સહન નહીં કરે અને  બરાબરનો સબક શીખવાડશે.

આ પ્રસંગે AAP ગુજરાત ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રવક્તા યોગેશ જાદવાણી, સુરત શહેર પ્રભારી રામ ઘડુક, પ્રમુખ લક્ષ્મણ સુખડીયા સહિત 50 થી વધુ કાર્યકરોની પુતળા દહન કરે તે પહેલા જ ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરાવી ભાજપે અને સરકારે પોતાનો પાકિસ્તાન અને ઇમરાન ખાન વચ્ચેનો મૈત્રી પ્રેમ જાહેર કયોઁ એવુ વઘુમાં પ્રવકતા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં સંગઠન મંત્રી રમેશ નાભાણી, રાજકોટમાં અજીત લોબીલ, અમદાવાદના શહેર પ્રમુખ અમઝદખાન પઠાણ સહિતનાઓની અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.