મેરાન્યૂઝ નેટવર્ક,જામનગર: જામનગરમાં ઇન્દીરા સોસાયટીમાં એક યુવાને લગ્નના આગલા દિવસે જ આપઘાત કરી લેતા પરિવારમાં આઘાતની સાથે શોકનું મોજુ પ્રસરી ગયું હતું. દ્વારકાની યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવાનના લગ્ન પણ નકકી થઇ ગયા હતા પરંતુ લગ્ન પૂર્વે જ યુવાને કયા કારણોસર અંતિમ પગલુ ભર્યુ તેને લઇને રહસ્ય ઘેરાયું છે.

શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ઇન્દીરા સોસાયટી શેરી નં.4માં રહેતા અને મજુરી કામ કરતા હિતેશ ચીમનભાઇ પરમાર (ઉ.વ.24) નામના યુવાને ગઇકાલે સાડા સાત વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોતાના રૂમના છતની હુકમાં ઓઢણી બાંધી અંતિમ પગલુ ભરી લેતા યુવાનના પરિવારનો હરખનો માહોલ શોકમાં પલટાઈ ગયો હતો. કેમ કે આજે એટલે કે 20મી તારીખે મૃતક હિતેશના દ્વારકા ખાતે રહેતા તેના જ જ્ઞાતિના પરિવારની પૂજા નામની યુવતિ સાથે લગ્ન થવાના હતાં. લગ્નના આગલા દિવસે એવું શું દુ:ખ આવી પડ્યું કે યુવાને જીવતર ટુંકાવવા મજબુર થવુ પડયું હતું.

આ બનાવ અંગે સીટી બી ડિવિજન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકનો કબ્જો સંભાળી પોલીસે, મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ વિધી પાર પાડી હતી.

ઇન્દીરા સોસાયટીમાં આ યુવાનના ઘર નજીક રહેતા પરિવારની ભાણેજ એવી પૂજા એક વખત જામનગર આવી ત્યારે બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ યુવતિ અનેક વખત મામાના ઘરે આવી હતી. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ પરિવારને પણ જાણ થઇ હતી. જેને લઇને બન્ને પરિવારના સભ્યોએ આ પ્રેમી જોડાના લગ્ન પણ નકકી કરી નાખ્યા હતાં. લગ્નના આગલા દિવસે જ મોચી પરિવાર દ્વારકા જાન લઇને જાય તે પૂર્વે જ યુવાનના આ પગલાથી બન્ને પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

બનાવની પ્રવિણભાઇએ પોલીસમાં કરી હતી જે મુજબ ફોન પર વાત કરતા આ પ્રેમી યુગલને વાત વાતમાં ઝઘડા થતાં હતાં. આ ઝઘડાના મનદુ:ખને લઇને હિતેશે ગળાફાંસો ખાઇ લીધો હતો. જોકે પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.