મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં હિંસક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. શામળાજી-ભિલોડા પંથકમાં છેલ્લા પંદર દિવસમાં દીપડાએ માનવ વસ્તીમાં પ્રવેશી આતંક મચાવી પશુઓનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. ભિલોડા તાલુકાના મઉ (નવલપુર) ગામમાં શનિવારની રાત્રીએ દીપડાએ વાછરડા અને કૂતરાનું મારણ કરી મિજબાની કરતા પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંસક દીપડાને તાત્કાલિક વનવિભાગ તંત્ર પાંજરે પુરાવામાં આવેની માંગ લોકો કરી રહ્યા છે. વનવિભાગ તંત્ર ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી પાંજરું મુકવાની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા-શામળાજી પંથકમાં આવેલા વણઝર, ભેટાલી, રામનગર, નવા વક્તાપુર, જનાલી, વાંસેરા, દેવની મોરી વિસ્તારમાં દીપડા અને હિંસક પ્રાણીઓ અવાર નવાર પશુઓનું મારણ કરાયાની ઘટનાઓ બની છે. વાંસેરા ગામમાં દીપડાએ વાછરડાના મારણની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે ભિલોડાના મઉ (નવલપુર) ગામે રણછોડ ભાઈ રાઠોડ નામના ખેડૂતના તબેલામાં બાંધેલ વાછરડાનું શનિવારે રાત્રીએ ત્રાટકી મારણ કરતા વાછરડું રેકતા લોકો દોડી આવતા દીપડો નાસી છૂટતા જતા-જતા શેરીમાં રખડતા કૂતરાનું મારણ કરી મિજબાની કરી નજીકના જંગલમાં છુપાઈ ગયો હતો.

વનવિભાગ તંત્રને જાણ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મારણ સ્થળનું પંચનાનું કરી ખેડૂતને સહાય આપવા રાબેતા મુજબની ઓનલાઈન અરજી કરી દીપડાને પાંજરે પુરાવા પાંજરું મુકવાની કામગીરી હાથધરી હતી.

મઉ (નવલપુર) ગામમાં દીપડાએ વાછરડાનું અને કૂતરાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આતંકથી ભિલોડા-શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સુમારે પ્રજાજનો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દીપડાના ભયના ઓથાર હેઠળ ગ્રામ્ય જીવન સુમસામ બની જાય છે ખેડૂતો પણ ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. દીપડો આજુબાજુના વિસ્તારમાં આંટા ફેરા મારતો રહેતા અને સતત માનવ વસ્તીમાં ઘુસી પશુઓનું મારણ કરતા વનવિભાગ તંત્ર દ્વારા સંભવિત સ્થળોએ પાંજરા મૂકી દીપડાને સત્વરે પાંજરે પુરાવા માટેની માંગ પ્રબળ બની છે.